(ANI Photo)

બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહેલી યુવા અભિનેત્રી નુસરત ભરુચાની ગણના બોલીવૂડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. તેણે બોલીવૂડમાં ઓળખ બનાવવા માટે જેટલો લાંબો સમય આપ્યો એટલી જ લોકપ્રિયતા તે અત્યારે મેળવી શકી છે. અનેક પ્રયાસો અને અથાગ પરિશ્રમ પછી તેને રૂ. 100 કરોડની ફિલ્મ મળી હતી. `પ્યાર કા પંચનામા`ની જાણીતી આ અભિનેત્રી નુસરતને હવે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા છે.

`જય સંતોષી મા` ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનાર નુસરતે તાજેતરમાં એક મીડિયા ઈન્ટરવ્યૂમાં ગુજરાતી ભાષા અને ગુજરાતી ફિલ્મો વિશે ચર્ચા કરી હતી. ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતાં નુસરતે કહ્યું હતું કે `મને ઘણું ગુજરાતી આવડે છે. મારા ઘરમાં બધા ગુજરાતીમાં જ વાત કરે છે. હું ઘરમાં ગુજરાતી ભાષા જ બોલું છું.
મને ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરવાની ઈચ્છા છે. હું ઈચ્છું છે કે હું એક ગુજરાતી પાત્ર ભજવું એ પણ ગુજરાતી ભાષામાં. મને ગુજરાતી ફિલ્મો જોવાની પણ ખુબ જ ઈચ્છા થાય પણ સમયના અભાવને કારણે જોઈ શકાતી નથી. પરંતુ હવે OTT પ્લેટફોર્મની સુવિધા આવી ગઈ છે. તેથી હવે હું ગુજરાતી ફિલ્મ પણ જોઈશ.`

નુસરત ભરુચા ગુજરાતમાં ભરુચની વતની છે. તેણે અભિનેત્રી બનવા માટે ઘણી મહેનત કરી છે. લાંબા પરિશ્રમ પછી નુસરતને એકતા કપૂરની `લવ, સેક્સ ઔર ધોખા` માટે પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં નુસરતને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી. જોકે, તેની કારકિર્દીમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેણે 2011માં કાર્તિક આર્યન સાથે ફિલ્મ `પ્યાર કા પંચનામા`માં કામ કર્યું. આ ફિલ્મને દર્શકોએ આવકારી હતી. પછી કાર્તિક આર્યન અને નુસરત ભરૂચાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. 2015માં બંનેની ફિલ્મ `પ્યાર કા પંચનામા 2` રીલિઝ થઈ હતી અને આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

LEAVE A REPLY

5 + seven =