Oil Massage, An effective remedy to keep the skin young

ડો. યુવા અય્‍યર, આયુર્વેદિક ફિઝિ‌શિયન

શિયાળો જેમ નજીક આવે તેમ તેની સહુથી પહેલી અસર ચામડી પર અનુભવાય છે. ચામડી અને વાળ સુકા-બરછટ થવા લાગે છે. પગની એડીમાં વાઢિયા પડવાનું ચાલુ થાય છે. આ દરેક માટે તેલ માલિશ અસરકારક ઇલાજ છે.
આયુર્વેદ તેલમાલિશ માટે શું સૂચવે છે, તે જાણીએ.
કોણે તેલ માલિશ કરવું?
• ચામડી તથા વાળને સુંવાળા, ચમકતા રાખવા માંગતા સહુ કોઇ.
• જેમની ચામડી, વાળ સૂકા-બરછટ વારંવાર થઇ જતા હોય.
• જે સ્ત્રીઓને વારંવાર થાક – અશક્તિ જણાતા હોય.
• શરીરનો બાંધો બહુ નબળો હોય કે પછી વજન વધારે હોય.
• વાયુના રોગ, સાંધાના રોગ, સ્નાયુના રોગથી પીડાતા વ્યક્તિઓ.
• વધુ સમય ઊભા રહેવાથી, ચાલવાથી સવારે ઉઠતાની સાથે પગની એડીમાં દુઃખાવો થતો હોય તેવી વ્યક્તિઓ.
• જે બાળકોનું વજન વધતું ન હોય, વિકાસ ધીમે થતો હોય, તેમના માટે તેલ માલિશ ખૂબ ફાયદાકારક છે.
કયા તેલ વાપરવા?
• તલનું તેલ સામાન્ય રીતે દરેકને અનુકૂળ આવે છે.
• ચહેરા પર સમાજ કરવા માટે બદામનું તેલ, ઓલીવ ઓઇલ, કુમકુમાદિ તેલ વપરાય.
• માથામાં માલિશ કરવા માટે નારિયેળ કે તલનું તેલ વાપરવું જોઇએ.
• વિચારવાયુ, ડિપ્રેશન, એન્ઝાયટી મટાડવા માટે સહચર તેલ, બ્રાહ્મી તેલ, જ્યોતિષ્મતી તેલ, ચંદનબલાલાક્ષાદિ તેલ પૈકી પસંદ કરી, તેલમાં રૂનું પૂમડું બોળી માથામાં બ્રહ્મરંધ્ર પર મૂકવું. તેલ તાળવામાં ચૂસાઇને ફાયદો કરશે.
• ગુસ્સો બહુ આવતો હોય, યાદશક્તિ ઘટી ગઇ હોય, માઇગ્રેન કે માથામાં ફોડકી – ગૂમડા જેવા પિત્તના રોગ મટાડવા માટે ભૃંગરાજ તેલ, બ્રાહ્મી – દૂધીનું તેલ, કોપરેલમાં કપૂર ભેળવી લગાવવું.
• સાંધાના દુઃખાવા માટે મહાનારાયણ તેલ, પંચગુણ તેલ શ્રેષ્ઠ છે.
• સ્નાયુની નબળાઇ હોય તો અશ્વગંધા તેલ વાપરવું.
• પગના તળીયાના વાઢિયા માટે કોકમનું તેલ, એરંડીયું કે ગાયનું ઘી ઉત્તમ છે.
• ચામડીના રોગ (ખરજવું વિ.) હાઇપર-હાઇપો પિગમેન્ટેશન, ફંગલ ઇન્ફેકશન, ઝીણી ફોડકીઓ માટે કરંજ તેલ વાપરવું.
• ટાલ પડી જતી હોય, વાળ ખરતા હોય વાળ, ખરતા હોય તો તે માટે ભૃંગરાજ તેલ, કોપરેલ, તલનું તેલ ઉપયોગી છે.
• અકાળે પડતી ટાલ, યુવાન સ્ત્રીઓને ટાલ પડે તેવા કિસ્સામાં ધતુરપત્રાદિ, કરંજ્યાદિ, નીંબતેલનો વૈદકીય માર્ગદર્શન હેઠળ ઉપયોગ કરવો.
તેલમાલિશના ફાયદા
• તેલમાલિશ કરવાથી ચામડી ચળકતી, યુવાન, કરચલી વગરની રહે છે.
• થાક ઉતરે છે.
• વાયુદોષ ઓછો થાય છે.
• ભૂખ લાઞે અને ઊંઘ સારી આવે છે.
• શરીરનાં અંગોમાં મસાજ થવાથી સ્નાયુ અને માંસપેશીમાં પણ રક્તસંચાર વધે છે જેથી સ્વસ્થતા આવે છે. સંવેદનશીલતા યોગ્યપણે થાય છે.
માલિશ કોણે ન કરવું?:
• જેઓને ઉલટી-ઝાડા થયા હોય. અજીર્ણ-અપચો હોય તેઓએ તેલમાલિશ ન કરવું.
• તાવ, શરદીના દર્દીએ માલિશ કરવું નહીં.

ટિપ્સ

• તેલ માલીશ રૂંવાટીથી અવળી દિશામાં, હળવા હાથે કરવું.
• સ્નાયુના આકાર મુજબ, હથેળીની ગોળાઇ અને પકડમાં બદલાવ લાવી જરૂર મુજબ દબાણ આપી કરવું.
• સ્લીપડિસ્ક, સાંધાના ઘસારા જેવા રોગમાં તેલમાલીશ યોગ્ય માર્ગદર્શન વગર કરવાથી નુકસાન વધશે.
• વાળના મૂળ નબળા હોય તો રૂના પૂમડાંથી તેલ નાંખવું. વાળ મસળવા નહીં, નહીં તો વધુ ખરશે.

LEAVE A REPLY

17 + twelve =