પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત જમ્મી અને કાશ્મીરની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (6 જૂન) વિશ્વની સૌથી વધુ ઊંચાઈએ આવેલા ચિનાબ રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આની સાથે કાશ્મીર સાથે સમગ્ર દેશ સાથે રેલવે કનેક્ટિવિટી પ્રથમ વખત ચાલુ થઈ છે. મોદીએ જમ્મુ કાશ્મીરમાં રૂ.46000 કરોડની યોજનાઓની ભેટ આપશે.
મોદીએ કટરા ખાતે ચિનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા આ રેલ પુલ અને ભારતના પ્રથમ કેબલ-સ્ટેડ પુલ અંજીનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પહેલથી કનેક્ટિવિટીમાં સુધારો થશે. બ્રિજના ઉદ્ઘાટન સાથે એવું પણ કહેવામાં આવે છે કે આનાથી ‘દિલની દૂરી અને દિલ્હીનું અંતર ઘટશે. વડાપ્રધાનના આ કાશ્મીર પ્રવાસ બાદ પર્યટન અને આર્થિક વિકાસને પણ વેગ મળશે.
વડાપ્રધાને જમ્મુ અને કાશ્મીરમાં કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત રેલવે સેવાને લીલી ઝંડી પણ આપી હતી, જે કાશ્મીર ખીણ અને જમ્મુ ક્ષેત્ર વચ્ચેનું પ્રથમ ટ્રેન જોડાણ છે.
આ પ્રસંગે પાકિસ્તાન પર પ્રહાર કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન માનવતા, પર્યટન અને કાશ્મીરીઓની રોટી-રોટીની વિરુદ્ધ છે, અને તેથી પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. પાકિસ્તાન ‘ઓપરેશન સિંદૂર’ નામ સાંભળશે, ત્યારે તેને તેની શરમજનક હાર યાદ આવશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે પીર પંજાલની દુર્ગમ ટેકરીઓ પર ચિનાબ અને અંજી પુલ ભારતની શક્તિનું જીવંત પ્રતીક છે. આ ભારતના ઉજ્જવળ ભવિષ્યની ગર્જના છે… કાશ્મીરના સફરજન દેશના મોટા બજારોમાં ઓછા ખર્ચે અને સમયસર પહોંચી શકશે.
ચેનાબ પુલની લંબાઈ ૧.૩ કિમી છે અને તેની ઊંચાઈ ૩૫૯ મીટર છે – જે એફિલ ટાવર કરતા ૩૫ મીટર વધારે છે. આ બાંધકામમાં ૬૦૦ કિમીથી વધુ સ્ટીલ વેલ્ડીંગનો ઉપયોગ થયો હતો, જે જમ્મુથી દિલ્હી સુધીના રેલ્વે ટ્રેકની લંબાઈ કરતાં વધુ છે.
