છ વર્ષમાં પહેલી વાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં યોજાનારી આગામી G7 સમિટમાં હાજરી ન આપે તેવી શક્યતા છે. કેનેડા ૧૫થી ૧૭ જૂન દરમિયાન આ શિખર સંમેલનનું આયોજન કરી રહ્યું છે જેમાં રશિયા-યુક્રેન સંઘર્ષ અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ સહિત વિશ્વ સામેના મુખ્ય પડકારો પર ચર્ચા થવાની અપેક્ષા છે.
ઓટાવાએ હજુ સુધી ભારતીય વડા પ્રધાનને સમિટ માટે આમંત્રણ મોકલ્યું નથી, પરંતુ પીએમ આમંત્રણ મળ્યાં પછી પણ આ સમીટમાં હાજરી ન આપે તેવી શક્યતા છે.
2023માં તત્કાલીન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાન તરફી અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સંભવિત ભારતીય કનેક્શનનો આરોપ મૂક્યા બાદ ભારત-કેનેડા સંબંધો ખરાબ થયા છે. જોકે એપ્રિલમાં સંસદીય ચૂંટણીમાં લિબરલ પાર્ટીના નેતા માર્ક કાર્નીની જીતથી સંબંધો ફરીથી સ્થાપિત થવાની આશા જાગી હતી.
નવી દિલ્હીમાં મૂલ્યાંકન એવું રહ્યું છે કે કેનેડાની નવી સરકાર તરફથી હજુ સુધી તે દેશમાં ખાલિસ્તાની તરફી તત્વોની પ્રવૃત્તિઓ અંગે ભારતની ચિંતાઓને દૂર કરવા માટે કોઈ સ્પષ્ટ સંકેત મળ્યા નથી.વધુમાં, નવી દિલ્હી અને કેનેડા દ્વારા એકબીજાના હાઇ કમિશનરોને પુનઃસ્થાપિત કરવા માટે કોઈ નોંધપાત્ર ગતિવિધિ થઈ નથી.
G7માં યુએસ, યુકે, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. કેનેડા G7નું વર્તમાન પ્રમુખપદ ધરાવે છે અને તે જ ક્ષમતામાં સમિટનું આયોજન કરી રહ્યું છે.
