બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગના મામલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), ઇવેન્ટ-મેનેજિંગ કંપની ડીએનએ એન્ટરટેઈનમેન્ટ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની વહીવટી સમિતિ વિરુદ્ધ FIR દાખલ કરાઇ હતી અને ચાર લોકોની ધરપકડ કરાઈ હતી. આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ ચેમ્પિયન બન્યા પછી વિજયની મેગા ઉજવણી કરવા યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતાં અને અનેક ઘાયલ થયાં હતાં.
કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ આ દુર્ઘટનાની તપાસ માટે એક સભ્યના કમિશનનની રચનાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ભાગદોડ માટે કથિત રીતે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી હતી અને શહેરના પોલીસ કમિશનર સહિત અનેક ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતાં. સીએમએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર, સ્ટેશન હાઉસ માસ્ટર, સ્ટેશન હાઉસ ઓફિસર, એસીપી, સેન્ટ્રલ ડિવિઝન ડીસીપી, ક્રિકેટ સ્ટેડિયમના ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર, પોલીસ કમિશનરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર 105, 115 સહિતની વિવિધ કલમો હેઠળ કુબોન પાર્ક પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સ્વીકાર્યું હતું કે સ્ટેડિયમની ક્ષમતા 35,000 લોકોની હતી અને ઉજવણી માટે 2 થી 3 લાખ લોકો ઉમટી પડ્યા હતાં. રાજ્ય સરકારે દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને ₹10 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી અને તમામ ઘાયલોને મફત તબીબી સારવારની ખાતરી પણ આપી હતી.
એક નિવેદનમાં RCBએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું કે અને મૃતકોના પરિવારોને તાત્કાલિક નાણાકીય સહાય આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એક નિવેદનમાં આરસીબીએ જણાવ્યું હતું કે ગઈકાલે બેંગલુરુમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ RCB પરિવારને ખૂબ જ દુઃખ અને પીડા આપી છે. સન્માન અને સમર્થનના સંકેત તરીકે, RCBએ મૃતકોના અગિયાર પરિવારોમાંથી દરેકને રૂ.10 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત, આ દુ:ખદ ઘટનામાં ઘાયલ થયેલા ચાહકોને સહાય કરવા માટે RCB કેર્સ નામનું ભંડોળ પણ બનાવવામાં આવી રહ્યું છે,
