વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર વચ્ચે શનિવારે દિલ્હીમાં પીએમ હાઉસ ખાતે મુલાકાત થઇ હતી, જે એક કલાક સુધી ચાલી હતી. આ મુલાકાત બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.
સંસદનુ ચોમાસુ સત્ર શરુ થતા પહેલા આ મુલાકાતના પગલે જાત જાતની અટકળો શરુ થઈ છે. સોમવારથી સંસદનુ ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે મોદી સરકાર તરફથી સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. જેમાં પીએમ મોદી પોતે પણ સામેલ થવાના છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ દ્વારા સંસદમાં સરકારને ઘેરવા માટે રણનીતિ બનાવવામાં આવી રહી છે.
કોંગ્રેસે પોતાના લોકસભા સાંસદોની આવતીકાલે બેઠક બોલાવી છે. જેને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધિત કરશે. સંસદમાં મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસ બીજી પાર્ટીઓ સાથે પણ સંપર્કમાં છે.
મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણોમાં વારંવાર જોવા મળતા ફેરફાર વચ્ચે શરદ પવારે પીએમ મોદી સાથે કરેલી મુલાકાત બાદ આ તરફ બધાનુ ધ્યાન ખેંચાયુ છે.
તાજેતરમાં શરદ પવારને વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાના અહેવાલો વહેતા થયા હતા.જેને લઈને પવારે પોતે કહ્યુ હતુ કે, હું રાષ્ટ્રપતિ પદ માટેનો ઉમેદવાર બનવાનો નથી. મને ખબર છે કે, જે પાર્ટી પાસે 300 કરતા વધારે સાંસદ હોય ત્યારે આ ચૂંટણીનુ પરિણામ શું આવે.