ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યારે નવી દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન ટેકાના ભાવ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે વિડિયો-કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશના ખેડૂતોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, કેટલાક લોકો ખેડૂતોના ખભા પર રાખીને બંદૂક ચલાવી રહ્યા છે. કૃષિ સુધારણા પર જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. ખેડૂતોના બેંક ખાતામાં કોઈ વચેટિયા વગર રૂ. 1600 કરોડ જમા કરવામાં આવી રહ્યા છે. ટેક્નોલોજીનાને કારણે આ શક્ય બન્યું છે. ભારતે આ જે આધુનિક સીસ્ટમ બનાવી છે એની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. અહીંના ઘણા ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યાં છે. પહેલાં દરેકને એ મળતું ન હતું. અમારી સરકારે આ માટેના નિયમોમાં ફેરફાર કર્યા. હવે ખેડૂતોને ખેતી માટે જરૂરી મૂડી મળી રહી છે. ખેડૂતોને હવે લોન લેવાની મુક્તિ મળી છે.
25-30 વર્ષ પહેલાં જે કામ થવું જોઈતું હતું એ હવે થઈ રહ્યું છે. છેલ્લાં 6 વર્ષમાં સરકારે ખેડૂતોને ધ્યાનમાં રાખીને અનેક પગલાં લીધાં છે. નવા કાયદાઓની ઘણી ચર્ચા થઈ રહી છે. આ કાયદા રાતોરાત આવ્યા નથી. 20-22 વર્ષ સુધી દેશ અને રાજ્યોની સરકારો, ખેડૂત સંગઠનોએ તેની ચર્ચા કરી. કૃષિ અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો આ ક્ષેત્રમાં સુધારાની માગ કરતા આવ્યા છે.
અમારી સરકાર ટેકાના ભાવ અંગે એટલી ગંભીર છે કે વાવણી પહેલાં આની જાહેરાત કરે છે. ખેડૂતોને જાણવા મળે છે કે કયા પાક પર કેટલો ભાવ મળશે. આ કાયદા 6 મહિના પહેલાં અમલી થયા હતા. ટેકાના ભાવની જાહેરાત અગાઉની જેમ જ કરી હતી, એ જ બજારોમાં ખરીદી કરવામાં આવી હતી. કાયદો લાગુ થયા બાદ ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવી હતી, આ જ ટેકાના ભાવ પર પાકની ખરીદી કરવામાં આવી હતી. હું એમ કહેવા માગું છું કે ટેકાના ભાવ બંધ નહીં થાય કે ન તો સમાપ્ત થશે.