પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસે BAPS હિન્દુ મંદિર, અબુ ધાબીના ઐતિહાસિક ઉદ્ઘાટન માટે વડાપ્રધાન મોદીને સત્તાવાર આમંત્રણ આપ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન માટે પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસ દ્વારા આપવામાં આવેલ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો તથા આ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે ઉત્સાહપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું, એમ BAPS સ્વામિનારાયણ સંસ્થાએ એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદી અને BAPSના પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ બુધવારે વડાપ્રધાનના નિવાસસ્થાન કાર્યાલયમાં મળ્યા હતા અને વડાપ્રધાન મોદીએ આમંત્રણ સ્વીકાર્યું હતું.

BAPSના વરિષ્ઠ સંત પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસે પરંપરાગત રીતે વડાપ્રધાનને હાર પહેરાવી અને ખભે કેસરી શાલ ઓઢાડીને આપણા દેશ અને દુનિયામાં તેમના નોંધપાત્ર યોગદાનને બિરદાવીને તેમનું સન્માન કર્યું હતું. સમગ્ર ભારતમાં યાત્રાધામોના નોંધપાત્ર નવીનીકરણ અને વિકાસની અભૂતપૂર્વ સિદ્ધિ માટે વડાપ્રધાનને પૂજય સંતોએ બિરદાવ્યા હતા.

નવી દિલ્હીમાં સેવન, લોક કલ્યાણ માર્ગ ખાતેના પ્રધાનમંત્રી નિવાસી કાર્યાલયમાં સાંજે 6:30થી 7:25 PM દરમિયાન લગભગ એક કલાક લાંબી, ઉષ્માભરી અને અનૌપચારિક બેઠકમાં વૈશ્વિક સંવાદિતા માટે અબુધાબી મંદિરના મહત્વ અને વૈશ્વિક મંચ પર ભારતના આધ્યાત્મિક નેતૃત્વ માટે વડાપ્રધાન મોદીના વિઝન અને તેમની અસાધારણ વૈશ્વિક સિદ્ધિઓને, ખાસ કરીને UAE અને અન્ય મધ્ય પૂર્વીય દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવ્યા તેને સંતોએ બિરદાવી હતી. BAPS પ્રતિનિધિમંડળે વડાપ્રધાન મોદીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી તેમજ વડાપ્રધાન મોદીના નેતૃત્વએ વિશ્વભરના ભારતીયોમાં જે ગૌરવ અને પ્રેરણા જન્માવી છે તેની પણ ચર્ચા કરી હતી.

પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસે વડાપ્રધાન સમક્ષ અબુધાબીમાં BAPS હિંદુ મંદિરના નિર્માણ અંગેની નવીનતમ માહિતી રજૂ કરી હતી. મંદિરની જટિલ કોતરણી, તેની ભવ્યતા અને તેમાંથી પ્રતિબિંબિત થતી સર્વસમાવેશક ઉદાત્ત ભાવનાઓ વિશે તેમણે જણાવ્યું, “ઉદ્‌ઘાટન સમારોહની ક્ષણો સહસ્ત્રાબ્દીઓમાં ક્યારેક જોવા મળતી વિરલ ક્ષણો પૈકી હશે.” જેમાં વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, “આ મંદિર વસુધૈવ કુટુંબકમના આદર્શને પ્રતિબિંબિત કરશે – એક એવું આદર્શ આધ્યાત્મિક સ્થાન, જે માત્ર માન્યતાઓ અને પરંપરાઓ જ નથી દર્શાવતું, પરંતુ વિવિધ સંસ્કૃતિઓના સંગમરૂપ પણ છે.”

પ્રમુખસ્વામી મહારાજની સાથેની તેઓની અંગત અને અમર સ્મૃતિઓ અને તેઓના ભવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણીને યાદ કરીને, વડાપ્રધાન ભાવવિભોર થયા હતા અને મહંત સ્વામી મહારાજના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમણે અબુધાબીમાં BAPS હિંદુ મંદિર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા મુખ્ય વ્યક્તિઓ, સ્વયંસેવકો અને સમર્થકોના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

LEAVE A REPLY

twenty + twenty =