માનવીના જીવનમાં ભ્રમ એ એવી પરિસ્થિતિ છે જે કોઈ ઘટનાને રહસ્યમય બનાવી દે છે. આવી જ સ્ટોરી આધારિત ગુજરાતી ફિલ્મ ‘ભ્રમ’ તાજેતરમાં રીલીઝ થઇ છે. ‘હું ઈકબાલ’ ફિલ્મના નિર્માતાઓએ આ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મનું નિર્માણ કર્યું છે, જેમાં મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની જેવાં કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

પલ્લવ પરીખ દ્વારા દિગ્દર્શિત-લિખિત મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સાઈકોલોજિકલ અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મે દર્શકોમાં આતુરતા પેદા કરી હતી. આ ફિલ્મની કહાની તો અનોખી છે પરંતુ નિર્માતાઓની ફિલ્મનો પ્રચાર કરવાની રીત પણ જુદી જ છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ફિલ્મ માટે ઇન્સ્ટાગ્રામ ગેમ લોન્ચ કરાઈ હતી, જેણે દર્શકોમાં સારું આકર્ષણ ઊભું કર્યું હતું.

આ ફિલ્મની સ્ટોરી મુજબ 42 વર્ષીય મહિલા, માયા (સોનાલી લેલે દેસાઈ) ડિમેન્શિયા નામની બીમારીથી પીડાય છે, જેના કારણે તેને ભૂતકાળની ઘટનાઓ યાદ રહેતી નથી. પણ જયારે તે પોતાની જ દીકરી શ્રદ્ધા (નિશ્મા સોની) ની હત્યાની સાક્ષી બને છે, ત્યારે તેના જીવનમાં ઉથલપાથલ મચે છે. માનસિક બિમારીથી પીડિત માયા સામે સમય વધુને વધુ આકરો બનતો જાય છે. ભૂલી જવાની બિમારી સાથે માયા તેની તૂટી ગયેલી કડીઓને એક બીજા સાથે જોડી સત્યને શોધવાનો પ્રયત્ન કરી રહી છે.

ફિલ્મમાં મિત્ર ગઢવી માયાના કેરટેકર મેહુલની ભૂમિકા અને અભિનય બેંકર પોલીસમેનની ભૂમિકા ભજવી રહ્યાં છે. આ મર્ડર મિસ્ટ્રી ઈન્વેસ્ટિગેશન પણ અનેક આટાપાટામાંથી પસાર થાય છે, જોડાતી કડીઓ તૂટી રહી છે કે તોડવામાં આવી રહી છે. આ ઘટનાઓ ભ્રમને વધુ ભ્રમિત કરી રહી છે. આખરે માયાની પુત્રી શ્રદ્ધાની હત્યા થઇ છે કે નહિ અને થઇ છે તો કોણે કરી છે તે જાણવા માટે આ ફિલ્મ જોવી રહી. ફિલ્મ જોયા પછી જ ખબર પડશે કે ભ્રમ જ વાસ્તવિકતા છે કે વાસ્તવિકતા જ ભ્રમ છે.

પલ્લવ પરીખે આ ફિલ્મ અંગે જણાવ્યું હતું કે, ‘મોટાભાગના લોકો સસ્પેન્સ થ્રિલર અને મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સિરીઝ જોવે છે તો ફિલ્મ કેમ નહિ? અને એમાં પણ આપણી ગુજરાતી ભાષામાં આ પ્રકારની ફિલ્મ જોવા મળે તો અચૂકપણે નિહાળવી જ જોઈએ. દર્શકોને છેક સુધી આ ફિલ્મ જકડી રાખશે તે વાતનો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે.’
તાજેતરમાં જ સલમાન ખાન સાથે “સિકંદર” ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવેલ અનુભવી અભિનેતા મિત્ર ગઢવી જણાવે છે કે , ‘ભ્રમ’ જેવી સાઇકલોજિકલ થ્રિલર ફિલ્મ કરવી મારા માટે એક નવી ચેલેન્જ હતી. મેં અત્યાર સુધી ઘણા વિવિધ પાત્રો ભજવ્યા છે, પણ આ ફિલ્મમાં મેહુલનું પાત્ર નિભાવવું એ કંઈક અલગ જ અનુભવ હતો. આ ફિલ્મ દર્શકોને દરેક પળે સવાલ કરાવશે – શું સત્ય છે અને શું ભ્રમ છે?’

આ ફિલ્મ વિશે સોનાલી લેલે દેસાઈ જણાવે છે કે, ‘આ ફિલ્મમાં માયાનું પાત્ર નિભાવવામાં ખૂબ જ વિશેષ અનુભવ મળ્યો. એક એવી મહિલા જે ડિમેન્શિયા જેવી બીમારી સામે ઝઝુમે છે અને છતાં પોતાનું સત્ય શોધવા લડે છે, આવું પાત્ર ભજવવું એ લાગણીસભર અને પડકારજનક હતું. આ ફિલ્મ દર્શકોમાં એક અલગ જ રીતે આકર્ષણ ઊભું કરશે.’
અભિનય બેંકર કહે છે કે, ‘દર્શકોને આ ફિલ્મ થકી સસ્પેન્સ થ્રિલરનો યાદગાર અનુભવ મળશે. આ મર્ડર મિસ્ટ્રીમાં કામ કરવું એ મારા માટે ગર્વની વાત છે અને આ ફિલ્મમાં કામ કરવાનો એક અનોખો અનુભવ રહ્યો. આ ફિલ્મ એક પળ પણ આંખ પરથી ઊતારવા ન દે તેવી છે.’

નિશ્મા સોનીએ આ ફિલ્મ અંગે જણાવું હતું કે, ‘ફિલ્મમાં મારું પાત્ર શ્રદ્ધાનું છે અને આખી સ્ટોરી શ્રદ્ધાના મર્ડરની આસપાસ ફરે છે. ફિલ્મની ટીમ ખૂબ અનુભવી છે અને આ ફિલ્મમાં કામ કરવું એ મારા માટે ચેલેન્જિંગ હતું અને સાથે મજા પણ ખૂબ આવી.’

LEAVE A REPLY