A Life Poem of Queen Elizabeth
(Photo by Chris Jackson/Getty Images)

મહારાણીનો જન્મ એલિઝાબેથ એલેક્ઝાન્ડ્રા મેરી વિન્ડસર તરીકે મેફેર, લંડનમાં 21 એપ્રિલ 1926ના રોજ થયો હતો. બહુ ઓછા લોકોએ ધાર્યું હતું કે તેઓ કદી પણ રાણી બનશે. પરંતુ ડિસેમ્બર 1936માં તેમના કાકા એડવર્ડ VIII એ બે વખત છૂટાછેડા લીધેલા અમેરિકન મહિલા વોલિસ સિમ્પસન સાથે લગ્ન કરવા માટે સિંહાસન છોડી દેતાં મહારાણી એલિઝાબેથના પિતા રાજા બન્યા હતા અને તેઓ જ્યોર્જ છઠ્ઠાના નામે ઓળખાયા હતા. જેને પગલે લિલિબેટના નામે ઓળખાતા મહારાણી 10 વર્ષની ઉંમરે રાજ સિંહાસનના વારસદાર બન્યા હતા.

ત્રણ વર્ષની અંદર જ બ્રિટન નાઝી જર્મની સાથે યુદ્ધે ચઢતા એલિઝાબેથ અને તેની નાની બહેન, પ્રિન્સેસ માર્ગારેટને મોટાભાગનો યુદ્ધનો સમય વિન્ડસર કાસલમાં વિતાવવો પડ્યો હતો. તે પહેલા તેમને કેનેડા ખસેડવાના સૂચનોને તેમના માતાપિતાએ નકારી કાઢ્યા હતા.

18 વર્ષના થયા બાદ એલિઝાબેથે પાંચ મહિના ઑક્ષીલીયરી ટેરીટોરીયલ સર્વિસ સાથે ગાળ્યા હતા અને મૂળભૂત મોટર મિકેનિક અને ડ્રાઇવિંગના કૌશલ્યો શીખ્યા હતા. તે વખતે તેમણે એસ્પ્રિટ ડી કોર્પ્સને સમજવાનું શરૂ કર્યું જે પ્રતિકૂળતાના સમયે ખીલે છે.

યુદ્ધ સમય દરમિયાન રોયલ નેવીમાં સેવા આપતા ત્રીજી પેઢીના પિતરાઈ ભાઈ, પ્રિન્સ ઓફ ગ્રીસ, ફિલિપ સાથે તેમને પત્રોની આપ-લે થઇ હતી. તેમાં જ તેમનો રોમાંસ ખીલ્યો હતો અને 20 નવેમ્બર 1947ના રોજ વેસ્ટમિન્સ્ટર એબીમાં દંપતીએ લગ્ન કર્યા હતાં અને પ્રિન્સ ફિલીપને ડ્યુક ઓફ એડિનબરાનું બિરુદ અપાયું હતું. જ્યારે ડ્યુકનું 2021માં, 99 વર્ષની વયે મૃત્યુ થયું તે પહેલાં મહારાણીએ તેમને ‘’લગ્નના 74 વર્ષ દરમિયાન મારી શક્તિ અને સાથે રહેનાર” તરીકે તેમનું વર્ણન કર્યું હતું. તેમના પ્રથમ પુત્ર, ચાર્લ્સનો જન્મ 1948માં થયો હતો. ત્યારબાદ પ્રિન્સેસ એની 1950માં, પ્રિન્સ એન્ડ્ર્યુ 1960માં અને પ્રિન્સ એડવર્ડ 1964માં જન્મ્યા હતા. જેમણે તેમના માતાપિતાને આઠ પૌત્રો અને 12 પૌત્ર-પૌત્રો આપ્યા હતા.

પ્રિન્સેસ એલિઝાબેથ 1952માં કેન્યામાં હતા અને બીમાર રાજા (પિતા)નું પ્રતિનિધિત્વ કરતા હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હોવાના સમાચાર આવતા જ તેઓ તરત જ નવી રાણી તરીકે લંડન પરત ફર્યા હતા.

ક્વીન એલિઝાબેથને 2 જૂન 1953ના રોજ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે 27 વર્ષની વયે, અંદાજિત 20 મિલિયનથી વધુ, તત્કાલીન રેકોર્ડ સમાન ટીવી પ્રેક્ષકોની હાજરીમાં તાજ પહેરાવવામાં આવ્યો હતો. તે જ સમયગાળામાં વિદેશમાં બ્રિટિશ સામ્રાજ્યનો અંત આવ્યો હતો અને 60ના દાયકામાં દેશમાં સામાજિક ધોરણોમાં મોટા ફેરફારો જોવા મળ્યા હતા.

ક્વીન એલિઝાબેથે રાજાશાહીમાં સુધારો કર્યો હતો અને  શાહી મુલાકાતો અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપીને લોકો સાથેનું જોડાણ વધાર્યું હતું. કોમનવેલ્થ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સતત રહી હતી અને તેમણે ઓછામાં ઓછા એક વખત તો દરેક કોમનવેલ્થ દેશની મુલાકાત લીધી હતી.

પરંતુ રાણીનું જીવન હંમેશા સુખમય રહ્યું ન હતું. 1992માં, રાણીના ખાનગી રહેઠાણ તેમજ કામ માટે વપરાતા વિન્ડસર કાસલ મહેલમાં આગ ફાટી નીકળી હતી. તો બીજી તરફ તેમના ત્રણ બાળકોના લગ્ન તૂટી ગયા હતા. 1997માં પેરિસમાં કાર અકસ્માતમાં પ્રિન્સેસ ઑફ વેલ્સ, ડાયનાના મૃત્યુ પછી, રાણીએ જાહેરમાં જવાબ આપવાની અનિચ્છા દર્શાવતા તેમની ટીકા કરાઇ હતી.

21 વર્ષના રાજકુમારી તરીકે એલિઝાબેથે પોતાનું જીવન સેવામાં સમર્પિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. દાયકાઓ પછી, 1977માં તેમણે રજત જયંતિ અને જૂન 2022માં તેમણે સત્તા સંભાળવાની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરાઇ હતી. આ માઇલસ્ટોનની ઉજવણી રંગબેરંગી ઉત્સવ, તેમજ લાઇવ સ્ટ્રીટ પાર્ટીઓ સાથે ઉજવવામાં આવી હતી.

પ્રિન્સ ફિલિપ સાથેના તેમના લગ્ન 73 વર્ષ સુધી ચાલ્યા હતા. એપ્રિલ 2021માં પ્રિન્સ ફિલીપના મરણના 16 માસ બાદ મહારાણી મૃત્યુ પામ્યા હતા. મહારાણીને ચાર બાળકો, ચાર્લ્સ, એની, એન્ડ્ર્યુ અને એડવર્ડ હતા.

LEAVE A REPLY

seventeen − 6 =