રાજસ્થાનમાં વરિષ્ઠ સામે યુવા નેતાઓ વચ્ચેની અથડામણ પૂરજોશમાં છે અને આ કારણે જ રાજ્ય સરકાર પર સંકટના વાદળો ઘેરાયેલા છે. અગાઉ મધ્ય પ્રદેશમાં પણ આ પ્રકારની સ્થિતિ જ જોવા મળી હતી. ત્યાર બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી છોડી દીધી હતી અને તેમના સાથે 20થી પણ વધારે ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધું હતું જેથી કમલનાથે પોતાની ખુરશી ગુમાવવી પડી હતી.

આ બંને ઘટનાક્રમના કારણે વર્ષો જુની પાર્ટીની અંદર વરિષ્ઠ સામે યુવા નેતાઓ વચ્ચેની લડાઈ સામે આવી ગઈ છે. જો કે વરિષ્ઠ પદાધિકારીઓના કહેવા પ્રમાણે તેમણે પાયલટ કે સિંધિયાને કદી કશું નથી કહેલું. આ બધા વચ્ચે સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે રાહુલ ગાંધીએ યુવા નેતાઓ પાર્ટી છોડે છે તેની ટીકા કરી છે. રાહુલ ગાંધીએ યુવા નેતાઓના જવાથી પાર્ટીને કોઈ નુકસાન નહીં થાય અને તેનાથી નવા નેતાઓ માટે અવસર સર્જાશે તે અર્થનું નિવેદન આપ્યું હતું.

એક તરફ રાજસ્થાનમાં રાજકીય ઉથલ પાથલ મચેલી છે અને તેવા સમયે જ રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવ્યું છે જેથી પાર્ટી પૂર્વ નાયબ મુખ્યમંત્રીને પાછા લાવવા પ્રયત્ન કરી રહી છે તેવી અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. પાર્ટીના વિદ્યાર્થી એકમ એનએસયુઆઈની બેઠકને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કોઈનું નામ નહોતું લીધું પરંતુ તેમની આ ટિપ્પણી સ્પષ્ટપણે જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટને અનુલક્ષીને જ હતી.

એક અહેવાલ પ્રમાણે રાહુલ ગાંધીએ તે બેઠકમાં અર્થતંત્ર માટેના ભાવિ પડકારો અને આગામી મહીનાઓના વિભિન્ન પરિદૃશ્યો અંગે ચર્ચા કરી હતી. પાર્ટીના પૂર્વ અધ્યક્ષે બેઠક દરમિયાન ‘તમે જોઈ રહ્યા છો કે કેટલાક લોકો પાર્ટી છોડીને જઈ રહ્યા છે.

તમારે આ પ્રકારના ઘટનાક્રમોને લઈ ચિંતિત ન થવું જોઈએ. તેનાથી તમારા માટે અવસરો ખુલશે.’ તે અર્થનું નિવેદન આપ્યું હતું. એક સદસ્ય દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે રાહુલ ગાંધીએ ‘પુંછડી દબાવીને ભાગ્યા’ તે અર્થના હિંદી રૂઢિપ્રયોગનો પણ ઉપયોગ કર્યો હતો પરંતુ તેની કોઈ પૃષ્ટિ નથી થઈ શકી.

રાહુલ ગાંધીના તાજેતરના નિવેદનથી એ તમામ સંભાવનાઓ વેરણ છેરણ થઈ ગઈ છે જેમાં સચિન પાર્ટી હજુ પાર્ટીમાં પરત ફરશે તેવી શક્યતા હતી. પાયલટ સહિત 18 બાગી ધારાસભ્યોએ સ્પીકરની નોટિસ વિરૂદ્ધ રાજસ્થાન હાઈ કોર્ટનો આશરો લીધો છે. આ ઉપરાંત તેમણે ગુરૂવારે વરિષ્ઠ નેતા પી. ચિદંબરમ સાથે પણ વાતચીત કરી હતી.