સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં સંરક્ષણ પ્રધાન ચીન મુદ્દે વિપક્ષના સવાલના જવાબ આપી રહ્યા છે. (PTI Photo)

વિશ્વની કોઇપણ તાકાત ભારતીય લશ્કરને પેટ્રોલિંગ કરતી અટકાવી શકે નહીં, એમ લદાખમાં વાસ્તવિક અંકુશરેખા પર ચીન સાથે વિવાદ અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું.

ચીન પરંપરાગત પોસ્ટ પર ભારતીય સૈનિકોને પેટ્રોલિંગ કરવા દેતું નથી તેવા વિરોધ પક્ષોના સવાલોના જવાબ આપતા રાજનાથે જણાવ્યું હતું કે ચીન સાથે આપણી લડાઇનું તે એક કારણ છે. ભારત-ચીન વિવાદ અંગે રાજ્યસભામાં રાજનાથે વિરોધપક્ષોના સભ્યોને ખાતરી આપી હતી કે પૂર્વ લદાખમાં પેટ્રોલિંગ પેટર્નમાં કોઇ ફેરફાર થશે નહીં. પેટ્રોલિંગની પેટર્ન પરંપરાગત અને પૂર્વનિર્ધારિત છે. વિશ્વની કોઇપણ તાકાત પેટ્રોલિંગ કરતાં ભારતના સૈનિકોને અટકાવી શકે નહીં. સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે તેઓ વધુ વિગત જારી કરી શકે નહીં, કારણ કે તે સંવેદનશીલ સંચાલકીય મુદ્દા છે.