(Photo by ARUN SANKAR/AFP via Getty Images)

જાણીતા ફિલ્મમેકર રામગોપાલ વર્માએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્પૉટ બૉય બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેણે કટાક્ષમાં નરેન્દ્ર મોદી અને તેમના નિર્ણયની જાહેર નિંદા કરી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ વર્ષો પહેલાં નરેન્દ્ર મોદીને મૌત કા સૌદાગર કહ્યું હતું એ તેમણે સાબિત કરી દેખાડ્યું હોવાનું પણ વર્માએ જણાવ્યું છે. કોરોનાની બીજી લહેરમાં ભારતની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે.

વર્ષ 2020માં જેટલી ખરાબ હાલત નહોતી એટલી ખરાબ હાલત આ વર્ષે થઈ ગઈ છે. આથી નરેન્દ્ર મોદીને ટ્વિટર પર ટૅગ કરીને રામગોપાલ વર્માએ કહ્યું હતું કે ‘સર નરેન્દ્ર મોદીજી, હું એક સારો હૉરર ફિલ્મમેકર હોવાનું કહેવાય છે, પરંતુ તમારી આગામી હૉરર ફિલ્મ ‘થર્ડ વેવ’ માટે હું તમારી પાસે સ્પૉટ બૉયની નોકરી માગું છું. તમારા બૉડી કાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં હું ક્લાર્કની નોકરી પણ કરીશ, કારણ કે આપણને બંનેને બૉડી ખૂબ જ પસંદ છે. જોકે બન્નેની પસંદગીનાં કારણ અલગ છે.’

અન્ય ટ્વીટમાં રામગોપાલ વર્મા એ કહ્યું હતું કે ‘સોનિયા ગાંધીએ ૨૦૧૪માં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી મૌત કા સૌદાગર છે. મને ખબર નહોતી કે તેઓ આટલા દૂરનું ત્યારથી વિચારી શકતા હતા. આ માટે હું મૅડમ સોનિયાની દિલથી માફી માગું છું. શક્ય હોય તો મેસેજ દ્વારા તમારાં ચરણો મોકલી આપજો જેથી હું એનો સ્પર્શ કરી શકું.’