ફિલ્મકાર નીતેશ તિવારીની બે ભાગમાં બની રહેલી બિગ બજેટ ફિલ્મ ‘રામાયણ’ અંગે બોલીવૂડ અને સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં છે, તેના વિશે સોશિયલ મીડિયામાં પણ વિવિધ ચર્ચા થઇ હતી. મોટાભાગના લોકો રણબીર રામના પાત્રને સંપૂર્ણ ન્યાય આપી શકશે કે કેમ એ અંગે શંકા વ્યક્ત કરી હતી. રોમેન્ટિક અને એક્શન ફિલ્મો માટે જાણીતો અભિનેતા મોટા પડદે ભગવાન રામ જેવો દેખાશે કેમ તેના અંગે પણ દર્શકો અવઢવમાં છે.
પરંતુ ગત વર્ષે આ ફિલ્મના પ્રથમ ભાગનું ટીજર રિલીઝ થયા પછી લોકોનો અભિપ્રાય બદલાયો છે. દર્શકોને રામના પાત્ર માટે રણબીર યોગ્ય જણાય છે. 1980ના દસકામાં દૂરદર્શન પર રામાનંદ સાગરની દેશ-વિદેશમાં ધૂમ મચાવનાર ખૂબ જ લોકપ્રિય સિરીયલ ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલે પણ આ ભૂમિકા માટે રણબીરને સંપૂર્ણ સહયોગ આપ્યો છે.
આ અંગે અરુણ ગોવિલ કહે છે કે, ‘ફિલ્મમાં મેન એક્ટર રણબીર કપૂર ભગવાન રામના પાત્રમાં ખૂબ સુંદર દેખાય છે. તે એક સારો અભિનેતા ઉપરાંત સારો વ્યક્તિ પણ છે. ફિલ્મમાં ભગવાનનું પાત્ર ભજવવા કલાકારનો આત્મા પવિત્ર અને શુદ્ધ હોવો જોઈએ.’ અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં અરુણ ગોવિલ રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ઉપરાંત તેમાં સાઈ પલ્લવી સીતાના પાત્રમાં, યશ રાવણ તરીકે અને સની દેઓલ હનુમાનની ભૂમિકામાં છે. ફિલ્મનો પ્રથમભાગ આ વર્ષે દિવાળીએ રીલીઝ કરવાનું આયોજન છે. જ્યારે ફિલ્મનો બીજો ભાગ 2027માં દિવાળી પર રિલીઝ થશે.
એવું પણ કહેવાય છે કે, ‘રામાયણ’ના તમામ પાત્રો અને તેની પાછળ કાર્યરત સમગ્ર ટીમનો સત્તાવાર પરિચય 26 માર્ચના રોજ રામ નવમી નિમિત્તે યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં કરવામાં આવશે. આ એક એવો ભવ્ય કાર્યક્રમ હશે, જેમાં રાજકારણ, મનોરંજન અને રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહેશે. આ અંગે એવી ચર્ચા છે કે, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. જોકે, ગૃહ પ્રધાન અમિત શાહ ચોક્કસ હાજર રહેશે. મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે યોજાનારા આ કાર્યક્રમ માટે રણબીર કપૂરે વ્યક્તિગત રીતે અનેક વિશિષ્ટ મહેમાનોને આમંત્રણ પાઠવ્યા હોવાનું જાણવા મળે છે.














