બોલીવૂડનો ચોકલેટી અભિનેતા રણબીર કપૂર પોતાના ફિલ્મી પરિવારના વારસાને ફરી જીવંત કરવા માટે આયોજન કરી રહ્યા છે. મુંબઈમાં અંધેરી ઈસ્ટમાં આવેલા એક કમર્શીયલ કોમ્પ્લેક્સમાં પાંચ માળ 20 વર્ષ માટે લીઝ પર લઈને તે આરકે સ્ટુડિયોઝને ફરીથી જીવંત કરવા ઇચ્છે છે.
દસકાઓ અગાઉ ચેમ્બુરમાં આર. કે. સ્ટુડિયોઝની સ્થાપના રણબીરના દાદા રાજ કપૂરે કરી હતી. પરંતુ 2018માં વિનાશક આગ અને વધતાં મેઇન્ટેનન્સના પડકારોને કારણે તેનું વેચાણ કરવામાં આવ્યું હતું. બોલીવૂડના સૂત્રોના જણાવ્યા અનુસાર, કણકિયા વોલ સ્ટ્રીટ ખાતેનો પાંચ માળનો વિસ્તાર આધુનિક પ્રોડક્શન અને ક્રિએટિવ હબમાં તબદિલ કરવામાં આવશે. આ યોજનામાં વર્ચ્યુઅલ પ્રોડક્શન માટે સજ્જ સાઉન્ડસ્ટેજ, એડિટિંગ અને પોસ્ટ-પ્રોડક્શનની સુવિધાઓ, સ્ક્રીનિંગ રૂમ્સ, VFX સુવિધાઓ અને કપૂર પરિવારની ક્રિએટિવ તેમ જ કર્મચારીઓ માટે ઓફિસનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં આરકે સંબંધિત વિશાળ સ્મારક સમાન જગ્યાઓ તથા ફિલ્મ ઇતિહાસને સાચવી રાખવા માટે આર્કાઇવ સ્ટોરેજની પણ યોજના છે. લીઝની નાણાકીય શરતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો કહે છે કે, તમામ કાર્યવાહી પૂર્ણ થયા પછી આ વર્ષે મે-જુન મહિના સુધીમાં કામગીરી શરૂ થઈ શકે છે. આ સુવિધા એકસાથે અનેક ફિલ્મ અને જાહેરાતનાં શૂટિંગ માટે ઉપયોગી બની શકે તેવી અપેક્ષા છે.













