ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ શુક્રવાર, 6 જૂને વ્યાજદરમાં ધારણા કરતાં મોટો 0.50 ટકાનો ઘટાડો કર્યો હતો. વ્યાજદરમાં આ ઘટાડાની સાથે પોલિસી રેટ 5.5 ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયા છે. આનાથી હોમ, ઓટો અને કોર્પોરેટ લોનધારકોને મોટો ફાયદો થશે. છેલ્લાં ત્રણ વર્ષમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં આ ત્રીજી વખત ઘટાડો કર્યો છે.
5 ઓગસ્ટ 2022ના રોજ રેપો રેટ 5.40 ટકા હતો. વ્યાજદરમાં આ મોટા ઘટાડાથી ભારતની આર્થિક વૃદ્ધિને વેગ મળવાનો અંદાજ છે. ભારતનો જીડીપી વૃદ્ધિદર 2024-25ના નાણાકીય વર્ષમાં 6.5 ટકાના ચાર વર્ષના તળિયેએ પહોંચ્યો હતો.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ઊભરતાં મેક્રોઇકોનોમિક અને નાણાકીય પરિબળો તેમજ આર્થિક દૃષ્ટિકોણના વિગતવાર મૂલ્યાંકન પછી મોનેટરી પોલિસી કમિટી (MPC)એ રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો.
ફેબ્રુઆરી 2025થી RBIએ પોલિસી રેટમાં એક ટકાનો ઘટાડો કર્યો છે. એપ્રિલમાં અગાઉની પોલિસી સમીક્ષામાં, રિઝર્વ બેન્કે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6 ટકા કર્યો હતો. રેપો રેટમાં 1 ટકાનોઘટાડો કર્યા પછી આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે નાણાકીય નીતિમાં હવે મર્યાદિત અવકાશ બાકી રહ્યો છે. આનો અર્થ એવો થાય છે કે હવે રિઝર્વ બેન્ક માટે વ્યાજદરમાં ઘટાડો કરવાનું મુશ્કેલ બનશે અને આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે સરકારે જ પગલાં લેવા પડશે. કોવિડ-૧૯ પછી આ પહેલી વાર છે જ્યારે RB એ ફેબ્રુઆરી ૨૦૨૦થી સતત ત્રણ વખત વ્યા ઘટાડાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.
જોકે મલ્હોત્રાએ ચાલુ નાણાકીય વર્ષ માટે GDPનો અંદાજ 6.5 ટકા જાળવી રાખ્યો હતો. સારા ચોમાસાની અપેક્ષાઓને કારણે ફુગાવાનો અંદાજ 4 ટકાના અગાઉના અંદાજથી ઘટાડીને 3.7 ટકા કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ બેન્કે કેશ રિઝર્વ રેશિયો (CRR)માં પણ એક ટકાનો ઘટાડો કર્યો હતો. તેનાથી નાણાકીય સિસ્ટમમાં2.5 લાખ કરોડ રૂપિયા મુક્ત કરશે. CRRએ કુલ થાપણોના ટકાવારીનો ઉલ્લેખ કરે છે જે બેંકોએ RBI પાસે ડિપોઝિટના સ્વરૂપમાં રાખવી પડે છે.
