એક સમયના બોલીવૂડના ચોકલેટી અભિનેતા આમિર ખાન 60 વર્ષની ઉંમરે પણ સતત વ્યસ્ત રહે છે. અંગત જીવનમાં ગૌરી સ્પ્રાટ સાથેના સંબંધ જાહેરમાં સ્વીકારનાર આમિરે તેની નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’ની રિલીઝ માટે તૈયારી શરૂ કરી દીધી છે. આમિર ખાનની ઈચ્છા જીવનના છેલ્લા શ્વાસ સુધી કામ કરતા રહેવાની છે.
આમિરે કહ્યું હતું કે તેનું આખરી સ્વપ્ન ‘મહાભારત’નું છે. તે માને છે કે, આ મહાકાવ્ય પર ફિલ્મ બનાવી દીધા પછી જીવનમાં કરવા જેવું કોઈ કામ બાકી નહી રહે. તેનો કદાચ ‘મહાભારત’ આધારિત ફિલ્મ છેલ્લો પ્રોજેક્ટ હશે. ‘સિતારે જમીન પર’ અંગે વાત કરતી વખતે આમિરે કહ્યું હતું કે, મહર્ષિ વેદ વ્યાસ રચિત મહાકાવ્ય મહાભારતનો વિષય જ એટલો બધો વ્યાપક અને ભવ્ય છે કે તેના આધારિત ફિલ્મ બનાવ્યા પછી જીવનમાં કોઈ કામ બાકી નહીં રહે.
‘મહાભારત’થી આમિર ખાન અત્યંત અભિભૂત છે. એક પોડકાસ્ટ દરમિયાન આમિરે કહ્યું હતું કે, આ દુનિયામાં જે કંઈ પણ દેખાય છે તે બધું મહાભારતમાં છે. તેના અનેક સ્તર અને લાગણીઓ છે. આ વિષય ઘણો ગુઢ છે. ‘મહાભારત’ પછી પોતે કશું કરી શકશે નહીં, તેવું માનતા આમિરે કહ્યું હતું કે, આ ફિલ્મની સામગ્રી જ એવી હશે કે તેના પછી હું બીજુ કંઈ કરી શકીશ નહીં.
