
બોલીવૂડની ઐતિહાસિક ફિલ્મ- શોલે તેના અસલી અંત સાથે ફરીથી રીલીઝ થશે. જય-વીરુ અને ગબ્બર મોટા પડદે છવાશે. અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને સંજીવ કુમારની ફિલ્મ 4કે વર્ઝન સાથે તેના મૂળ અંત સાથે ફરી રિલીઝ કરવામાં આવી રહી છે, ‘શોલેઃ ફાઇનલ કટ’ દેશભરના 1500 થીએટરમાં 12 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મે 15 ઓગસ્ટે પ્રથમ રીલીઝના 50 વર્ષ પૂરા કર્યા હતા. આ ફિલ્મમાં એ વખતની મોટી સ્ટાર કાસ્ટ હતી, જેમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, જયા બચ્ચન, હેમા મીલિની, સંજીવ કુમાર અને અમજદ ખાન જેવા કલાકારો હતા. આજે પણ આ ફિલ્મ ઇન્ડિયન સિનેમાની સૌથી લોકપ્રિય ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મ દેશની સૌથી જોવાયેલી ફિલ્મ છે, તેના પાત્રો અને ડાયલોગ આજે પણ લોકપ્રિય છે અને યાદગાર છે. આ ફરીથી રિલીઝની ખાસ વાત એ છે કે, તેમાં તેના પહેલાં અને મૂળ અંત સાથે રિલીઝ થશે, જે પહેલાં ક્યારેય લોકોને જોવા મળ્યો નથી કારણ કે આ ફિલ્મ જ્યારે 1975માં રિલીઝ થઈ ત્યારે ઇમરજન્સીનો સમય હતો અને તેના કારણે સેન્સર બોર્ડે કેટલાક કટ સૂચવેલા અને તેના કારણે એ અંત કપાઈ ગયો હતો. તેથી તેનો અંત હળવો કરી દેવાયો હતો. દાયકાઓથી લોકોએ એ અસલી અંત જ જોયો જ નથી. હવે સિપ્પી ફિલ્મ્સ દ્વારા નવા અંત સાથેની ફિલ્મની જાહેરાત કરાઈ છે, ‘શોલેઃ ફાઇનલ કટ’. હવે આ ફિલ્મના અંતમાં સંજીવ કુમાર ગબ્બરને પોતાનાં ખીલ્લીઓવાળા જૂતાથી મારી નાખશે. એ સમયે એ અંતને ઘાતકી ગણવામાં આવ્યો હતો. તેથી સેન્સર બોર્ડે તેમાં સુધારો કરવા સૂચના આપી હતી.












