ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ક્વોલિફાયર-1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ગુરુવારે પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવી આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. (ANI Photo)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ક્વોલિફાયર-1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ગુરુવારે પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવી આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બેંગલોર હવે ત્રીજી જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલમાં રમશે.

આ મેચમાં પરાજય થયો હોવા છતાં પંજાબને પણ ફાઇનલમાં પ્રવેશવાની વધુ એક તક મળશે પરંતુ તે માટે તેણે ક્વોલિફાયર-2માં વિજય મેળવવો પડશે. પંજાબ કિંગ્સ ક્વોલિફાર-2માં પહેલી જૂને એલિમિનેટર મેચ (ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ)ના વિજેતા સામે રમશે. એલિમિનેટર મેચ શુક્રવારે આ જ મેદાન પર રમાશે.

પ્રથમ બેટિંગ કરતાં પંજાબ કિંગ્સે માત્ર 14.1 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આ ટાર્ગેટ 10 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. 102 રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરતાં બેંગલોરે પણ પ્રારંભમાં જ વિરાટ કોહલી (12)ની વિકેટ ગુમાવી હતી, પરંતુ આ નુકસાન તેમને ખાસ ભારે પડ્યું ન હતું કેમ કે ફિલિપ સોલ્ટ અને મયંક અગ્રવાલે ટીમનો સ્કોર 84 સુધી પહોંચાડીને ટીમના માર્ગ આસાન કરી નાખ્યો હતો. અગ્રવાલે 19 રન ફટકાર્યા હતા પરંતુ તેણે સોલ્ટ સાથે 54 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. ફિલ સોલ્ટ મેચને અંતે 27 બોલમાં 56 રન ફટકારીને અણનમ રહ્યો હતો.

અગાઉ પંજાબ કિંગ્સની ઇનિંગ્સનો ધબડકો થયો હતો. પંજાબે પ્રારંભથી જ વિકેટો ગુમાવી હતી. બીજી ઓવરમાં યશ દયાલે આ ટુર્નામેન્ટમાં સદી ફટકારનારા ડાબેરી બેટ્સમેન પ્રિયાંશ આર્યાને આઉટ કર્યો તે સાથે પંજાબની વિકેટોનું પતન શરૂ થઈ ગયું હતું.પ્રિયાંશનો સાથી ઓપનર પ્રભસિમરન 18 રન કર્યાં હતાં અને આ સ્કોર ટીમનો બીજો સર્વોચ્ચ સ્કોર બની રહ્યો હતો. નવમા ક્રમના અઝમતુલ્લાહે પણ 18 રન ફટકાર્યા હતાં જ્યારે પંજાબ માટે સર્વોચ્ચ સ્કોર માર્કસ સ્ટોઇનિસના નામે રહ્યો હતો. તેને બેંગલોરના બોલર્સ સામે થોડો પ્રતિકાર કરીને 17 બોલમાં બે સિકસર સાથે 26 રન ફટકાર્યા હતા. આ ત્રણ સિવાયના બાકીના બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતાં.

બેંગલોર માટે યશ દયાલે બે વિકેટ ખેરવી હતી તો હેઝલવૂડે 3.1 ઓવરમાં 21 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. સૂયાશ શર્માએ તરખાટ મચાવ્યો હતો. તેને 17 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.

 

LEAVE A REPLY