(Photo by STRDEL/AFP via Getty Images)

69 વર્ષીય પીઢ અભિનેતા પરેશ રાવલે થોડા દિવસ અગાઉ હિટ કોમેડી સીક્વલ ફિલ્મ ‘હેરા ફેરી-3’માંથી અચાનક બહાર નીકળવાની જાહેરાત કરીને બધાને ચોંકાવ્યા હતા. કેટલાક લોકો તેને અફવા માનતા હતા. ઘણા લોકો તે વાતને સાચી માનીને નિરાશ પણ થયા હતા. પરેશ રાવલના આ નિર્ણય પછી અક્ષયકુમારે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી.

આ સ્થિતિમાં, પરેશ રાવલે તાજેતરમાં ફિલ્મ સાથે જોડાયેલા મુદ્દાઓ સાથે સ્પષ્ટતા કરી હતી. પરેશ રાવલે સોશિયલ મીડિયામાં તેમના અધિકૃત એક્સ (ટ્વિટર) હેન્ડલ પર જણાવ્યું હતું કે, તેમની લીગલ ટીમે અક્ષયકુમાર દ્વારા દાખલ કરાયેલા દાવાનો સત્તાવાર રીતે જવાબ આપ્યો છે. “મારા વકીલ અમિત નાઈકે મારી બરતરફી અને બહાર નીકળવા અંગે યોગ્ય જવાબ મોકલ્યો છે. એકવાર તેઓ મારો જવાબ વાંચશે પછી બધા મુદ્દાઓ ઉકેલાઈ જશે.”
કહેવાય છે કે, અક્ષયકુમારે આ ફિલ્મ છોડવા બદલ પરેશ રાવલ સામે રૂ. 25 કરોડનો કેસ કર્યો હતો.

તેમના વકીલે સમચાર એજન્સી સાથેની ચર્ચામાં તેમનું હેરાફેરી 3 છોડવાનું કારણ જણાવ્યું. તેમની ટીમે કહ્યું, ‘તેમણે કહાની, પટકથા અને કરારનો લાંબો ડ્રાફ્ટ મોકલ્યો ન હતો, જે અમારા ક્લાયન્ટ માટે જરૂરી હતો.’ વકીલોએ એ પણ સ્પષ્ટતા કરી કે તેમના નિર્ણયનો પ્રિયદર્શન સાથે કોઈ સંબંધ નથી અને તેઓ હજુ પણ તેમનું ખૂબ સન્માન કરે છે. જ્યારે પરેશ રાવલ કહે છે કે તેમણે ફિલ્મ છોડવાનો નિર્ણય અચાનક નહોતો લીધો, પરંતુ તેમણે ઘણો વિચાર કર્યા પછી લીધો હતો.

અગાઉ એવી અટકળો હતી કે ફિલ્મના નિર્માતાઓ સાથે સર્જનાત્મક મતભેદોને કારણે પરેશ રાવલે ફિલ્મ છોડી હતી, જોકે, તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, સર્જનાત્મક મતભેદોને કારણે તેમણે આ નિર્ણય લીધો નથી. તેમણે હેરાફેરી 3 માંથી બહાર નીકળવાની પુષ્ટિ કરતી એક ટ્વીટ પોસ્ટ કરી.

ટ્વીટર પર પરેશ રાવલે જણાવ્યું હતું કે, ‘હું એ વાત રેકોર્ડ પર રાખવા ઇચ્છું છું કે હેરાફેરી-3 થી દૂર રહેવાનો મારો નિર્ણય સર્જનાત્મક મતભેદોને કારણે નહોતો. હું ફરીથી કહું છું કે, ફિલ્મ નિર્માતા સાથે કોઈ સર્જનાત્મક મતભેદ નથી. મને ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શન માટે અપાર પ્રેમ, સન્માન અને વિશ્વાસ છે.”

ઉલ્લેખનીય છે કે ‘હેરાફેરી-3’ વર્ષ 2000માં રિલીઝ થયેલી ‘હેરા ફેરી’ નો ત્રીજો ભાગ છે. આ કોમેડી ડ્રામા ફિલ્મમાં અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, તબ્બુ અને ગુલશન ગ્રોવર મુખ્ય ભૂમિકામાં છે.

LEAVE A REPLY