ભારતની મોડેલ અને બોલિવૂડ એક્ટ્રેસ સના ખાન મુંબઈમાં એક પ્રમોશનલ ઇવેન્ટમાં ફોટો આપી રહી છે. (ફાઇલ ફોટો STRDEL/AFP via Getty Images)

ટીવી શો બિગ બોસ અને અને જય હો ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ સના ખાને ઝાયરા વસીમની રાહ પકડીને ધાર્મિક કારણોસર મનોરંજન ઉદ્યોગને તિલાંજલી આપી છે. તેણે સોશિયલ મીડિયા મારફતે આ માહિતી જાહેર કરી હતી. 33 વર્ષીય સનાએ લાંબી પોસ્ટમાં લખ્યું કે તે માનવતાની સેવા કરશે અને પોતાના નિર્માતા એટલે કે અલ્લાહના આદેશનું પાલન કરશે.

સનાએ આ પોસ્ટ રોમન, અંગ્રેજી અને અરબીમાં લખી છે. તેણે લખ્યું કે, ‘ભાઈઓ તથા બહેનો. આજે હું મારી જિંદગીના એક મહત્ત્વના પડાવ પર તમારી સાથે વાત કરી રહી છે. હું વર્ષોથી શો બિઝની જિંદગી જીવી રહી છું અને આ સમયમાં મને દરેક પ્રકારનો ફેમ, ઈજ્જત અને પૈસો મારા ફેન્સ પાસેથી નસીબ થયો જેના માટે હું આભારી છું. પરંતુ હવે થોડા દિવસથી એ વિચાર મારા પર હાવી થઈ ગયો છે કે માણસનો દુનિયામાં આવવાનો હેતુ શું માત્ર એ જ છે કે તે પૈસા અને નામ કમાય? શું તેની આ જવાબદારી નથી કે તે પોતાની જિંદગી તે લોકોની સેવામાં પસાર કરે જે નિરાધાર અને નિઃસહાય છે.