પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સૌરાષ્ટ્રના તાલાલામાં ૧૪ એપ્રિલથી પાંચ દિવસ અને ઉપલેટામાં ૧૫ એપ્રિલથી ૩ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટંકારા તથા નાના ખીજડીયા અને મીંયાણી ગામમાં મંગળવારથી આંશીક લોકડાઉનનો પ્રારંભ થયો હતો. ઉના પણ બંધ રહ્યુ હતું. ગીરગઢડા, સુલતાનપુર, ચાંવડમાં પણ લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો.
તાલાલામાં ચેમ્બર ઓફ કોમર્સ તથા નગરપાલિકા દ્વારા એક અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં ૧૪ એપ્રિલથી ૧૮ એપ્રિલ સુધી તાલાલા શહેર સ્વયંભૂ સજ્જડ બંધ પાળવા સર્વાનુમતે નિર્ણય કરાયો હતો. શહેરમાં લોકડાઉન દરમ્યાન શાકભાજી – ફળ બજાર તથા દવાની દુકાનો બપોરે ૧.૦૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત સવાર – સાંજ ૭ થી ૯ બે કલાક માટે દુધ – ડેરી ફાર્મને સ્વયંભૂ લોકડાઉનમાંથી છૂટ આપવામાં આવી હતી.

ઉપલેટા નગરપાલિકા દ્વારા ઉપલેટા શહેરના તમામ એસોસિએશનના પ્રમુખોની મીટીંગ યોજાઇ હતી. જેમાં ૧૫ થી ૧૮ એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવાનો નિર્ણય કરાયો હતો. સવારના ૬થી બપોરના ૨ વાગ્યા સુધી વેપારીઓ ધંધા – રોજગાર કરી શકશે. લારી ગલ્લામાં ધંધો રોજગાર સુધી વેપારીઓ ધંધા – રોજગાર કરી શકશે. લારી ગલ્લામાં ધંધો રોજગાર કરતા રેંકડીવાળાઓની લાગણી ને ધ્યાનમાં રાખી સાંજના ૬ થી રેંકડીવાળા પોતાનો ધંધો કરી શકશે. આ લોકડાઉનને સફળ બનાવવા શહેરના ૧૫ આગેવાનો અને નાગરિકોને એક કમિટી બનાવવામાં આવી હતી.
ટંકારામાં પટેલ સમાજ એસોસિયેશન દ્વારા બપોર પછી દુકાનો બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન ૨૦ એપ્રિલ સુધી જાહેર કરાતા દુકાનો બંધ રહી હતી.

કોરોનાના કેસો નોંધાતા હળવદના મીયાણી ગામે ગ્રામ પંચાયત તથા ગામના આગેવાનો દ્વારા ૧૫ દિવસનું સ્વૈચ્છિક આંશિક લોકડાઉન જાહેર કરાયું હતું. ગામમાં દુકાનો સવારે ૭ થી ૧૧ અને સાંજે ૫ થી ૭ ખુલ્લી રખાશે.

ઉનામાં ચેમ્બર ઓફ કોમર્સ અને નગરપાલિકાએ ૬ દિવસનો સ્વૈચ્છિક બંધનું રાખવાનો નિર્ણય કરાયો હતો. તેનાથી આખો દિવસે તમામ વેપારીઓ, ચા, પાન, ઠંડા પાણી પાર્લરો ફરસાણ, મીઠાઇની દુકાનો શાકભાજી, ફ્રુટના વેપારીઓ, કરીયાણાની દુકાનો લોજ, રેસ્ટોરન્ટ, ખાણી પીણીની રેંકડીઓ સંપૂર્ણ બંધ રહી હતી.

ગીરગઢડામાં પણ ગ્રામ પંચાયત તથા લોકો દ્વારા સર્વ સંમતિથી ગીરગઢડા ગામમાં તા. ૧૪ એપ્રિલથી ૨૫ એપ્રિલ સુધી ૧૨ દિવસ આંશિક બંધ પાળવાનો નિર્ણય કરાયો હતો. તેનાથી સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ રહેશે. ત્યારબાદ તમામ વેપારીઓ બંધ પાળશે.

લાઠીના ચાવંડ ગામે પણ તા. ૧૪મીથી તા. ૩૦મી સુધી બપોર પચી સ્વૈચ્છીક આંશિ લોકડાઉનનો ગ્રામ પંચાયત તથા ગામ લોકો દ્વારા નિર્ણય લેવાયો છે. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગ્રામપંચાયતે દસ દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું.