(Photo by Justin Sullivan/Getty Images)

રિટેલરોએ હવે નાના પાયે થઇ રહેલી ચોરીઓના બનાવોમાં પોલીસને રસ ન હોવાની ફરિયાદો કર્યા બાદ પોલીસ મિનીસ્ટર, કિટ માલ્થહાઉસએ ચીફ કોન્સ્ટેબલો અને પોલીસ અને ક્રાઈમ કમિશનરોને પત્ર લખીને જણાવ્યું છે કે £200થી ઓછી રકમની ચોરી કરનાર શૉપલિફ્ટર્સ સામે પણ કાર્યવાહી શરૂ કરે અને બનાવ અંગે તપાસ કરે. સરકાર કાયદાની પણ સમીક્ષા કરશે જે એવી છાપ ધરાવે છે કે પોલીસને આવા નિમ્ન કક્ષાના ગુનાની તપાસ કરવામાં રસ નથી.

હોમ ઑફિસ દ્વારા દુકાનના કર્મચારીઓ દ્વારા થતા દુર્વ્યવહાર અને શારીરિક હિંસાની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે રિટેલર્સ અને દુકાનના કર્મચારીઓ સ્ટોર્સ અને અન્ય રીટેઇલ પ્રિમાઇસીસમાં થતી ચોરીઓ બાબતે પોલીસ અને ન્યાયતંત્રનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે.

માલ્થહાઉસે જણાવ્યું હતું કે “હું એ સાંભળીને ખાસ ચિંતિત છું કે વ્યક્તિઓ રીટેઇલ ગુનાની જાણ નથી કરતી, કારણ કે તેઓ તેને તેમની નોકરીના ભાગ રૂપે સ્વીકારે છે અથવા તો તેમને મળનારા પ્રતિસાદમાં વિશ્વાસ નથી. આ બદલાવું જ જોઇએ.”

એસોસિએશન ઑફ પોલીસ અને ક્રાઈમ કમિશનર્સના પ્રતિનિધિ, પેડિ ટિપિંગે જણાવ્યું હતું કે ‘’ગુનાના અહેવાલોની કેસ-બાય કેસની તપાસ થવી જોઇએ અને અધિકારીઓએ શોપ લિફ્ટીંગની ઘટનાઓમાં હાજરી આપવી જોઈએ, ખાસ કરીને તેમાં હિંસા આચરવામાં આવી હોય ત્યારે.