મોદી સરકારની આકરી ટીકા કરતા કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની ટાર્ગેટેડ હત્યા પર સરકારનું મૌન નિષ્પક્ષ નથી, પરંતુ જવાબદારીમાંથી છટકવાની વૃત્તિ છે. સરકારનું મૌન ભારતની વિદેશ નીતિની દિશા અને વિશ્વસનીયતા અંગે ગંભીર શંકાઓ ઉભી કરે છે.
કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે માંગણી કરી હતી કે સંસદમાં સરકારના ખલેલ પહોંચાડનારા મૌન પર ખુલ્લેઆમ ચર્ચા કરવી જોઇએ. અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા તેમના લેખમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ૧ માર્ચના રોજ ઈરાને પુષ્ટિ આપી કે તેના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ સૈયદ અલી હુસેની ખામેનીની અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં મોત થયું છે. વાટાઘાટો વચ્ચે એક વર્તમાન રાષ્ટ્રપ્રમુખની હત્યા સમકાલીન આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ગંભીર ભંગાણ દર્શાવે છે. આ ઘટના આઘાતજનક છે. નવી દિલ્હીનું મૌન પણ એટલું જ આઘાતજનક છે.
સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે મોદીએ શરૂઆતમાં અમેરિકા-ઇઝરાયલના મોટા હુમલાની અવગણી કરી હતી. તે પછી અગાઉના ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યા વગર ઇરાનને યુએઇ પર કરેલા હુમલાની નિંદા કરી હતી. યુદ્ધની ઔપચારિક ઘોષણા વિના અને રાજદ્વારી કાર્યવાહી દરમિયાન રાજ્યના વડાની હત્યા યુએન ચાર્ટરની કલમ 2(4) ની ભાવનાની વિરુદ્ધ છે.જે કોઈપણ રાજ્યની પ્રાદેશિક અખંડિતતા અથવા રાજકીય સ્વતંત્રતા સામે બળનો ઉપયોગ પ્રતિબંધિત કરે છે. તેમણે દલીલ કરી હતી કે વિશ્વના સૌથી મોટા લોકશાહી તરફથી આવા કૃત્યો સામે સૈદ્ધાંતિક વાંધો લીધા વિના, આંતરરાષ્ટ્રીય ધોરણોનું ધોવાણ સામાન્ય થઈ જશે.














