કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવતા અઠવાડિયે ભારતભરની વિધાનસભાના સ્પીકર્સની કોન્ફરન્સ યોજાશે અને તેમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે.
કોન્ફરન્સની તૈયારીની સમીક્ષા માટે ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ શનિવારે કેવડિયાની મુલાકાત લઈને સમગ્ર આયોજનની માહિતી મેળવી હતી. તેમણે 25થી 27 નવેમ્બર દરમિયાન ટેન્ટ સિટી ખાતે યોજાઈ રહેલી ૮૦મી રાજ્ય વિધાનસભાના સ્પીકર કોન્ફરન્સ પૂર્વે તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવાની સાથે કોન્ફરન્સ સાથે સંકળાયેલા વિવિધ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને વ્યવસ્થાઓને સૂચારું બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું.
આ પરિષદમાં લોકસભા, રાજ્યસભા અને ૩૩ રાજ્ય વિધાનસભાઓના સ્પીકર્સ ભાગ લેશે.જેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકયાનાયડુ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. જ્યારે આ કોન્ફરન્સના ઇતિહાસમાં પ્રથમ ઘટના રૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમાપન સત્રમાં ઓનલાઇન પ્રવચન આપશે.
સ્પીકર ત્રિવેદીએ પ્રશાસન સાથેની બેઠકમાં આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા મહેમાનોના માધ્યમથી દેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને અન્ય સંખ્યાબંધ આકર્ષણોની દર્ષનીયતાનો સંદેશ દેશને મળે એ પ્રકારની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો અનુરોધ કર્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એક અતિ વિશિષ્ઠ સ્થળ છે, દેશની એકતાના ઘડવૈયા સરદાર સાહેબનું આ સ્મારક છે, પ્રતિમાની ૧૮૨ મીટરની ઊંચાઈ રાજ્યની વિધાનસભાના ૧૮૨ સદસ્યોની સંખ્યા સૂચક છે અને ગુજરાતના સાડા છ કરોડ પ્રજાજનોની લાગણી તેની સાથે જોડાયેલી છે એવી માહિતી આપતાં તેમણે આ અતિ વિશિષ્ઠ સ્થળની આ કોન્ફરન્સ માટે પસંદગી કરવા બદલ લોકસભાના અધ્યક્ષને સાભાર ધન્યવાદ આપ્યા હતા. એક્ઝિક્યુટિવ, લેજીસ્લેચર અને જ્યુડિસ્યરી એ ભારતની બંધારણીય વ્યવસ્થાના ત્રણ મુખ્ય અંગો છે એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે આ કોન્ફરન્સમાં મુખ્યત્વે આ ત્રણેય અંગો વચ્ચે સુમેળ અને સૂચારુ સંકલનમાં અભિવૃદ્ધિને લગતી બાબતોનો વિવિધ સત્રોમાં વિચારવિમર્શ થશે. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષશ્રી પ્રત્યક્ષ ઉપસ્થિતિ અને માર્ગદર્શન તેમ જ વડાપ્રધાન દ્વારા ઓનલાઇન સમાપન પ્રવચન, સરદાર પ્રતિમાના સાનિધ્યમાં બંધારણના આમુખની સાક્ષી હેઠળ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ આ કોન્ફરન્સને અવિસ્મરણીય અને યાદગાર બનાવશે.લોકસભા અને રાજ્યસભાના નેતા પ્રતિપક્ષને પણ આમંત્રિત કરાયા છે. આ કોન્ફરન્સના આયોજનમાં રાજ્ય સરકારે સંપૂર્ણ પીઠબળ આપ્યું છે.