
પાકિસ્તાનના બલુચિસ્તાનના ક્વેટામાં એક રાજકીય રેલી દરમિયાન થયેલા આત્મઘાતી બોંબ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા અને 35થી વધુ લોકો ઘાયલ થયા હતા. બલૂચિસ્તાન નેશનલ પાર્ટી (BNP)ની રેલીને ટાર્ગેટ કરીને પ્રચંડ વિસ્ફોટ કરાયો હતો.
આ હુમલો શાહવાની સ્ટેડિયમ નજીક સરદાર અતાઉલ્લાહ મેંગલની ચોથી પુણ્યતિથિના દિવસે આયોજિત કાર્યક્રમના સમાપન બાદ બની હતી. બલૂચિસ્તાનના આરોગ્ય પ્રધાન બખ્ત મોહમ્મદ કાકરે મોટી જાનહાનિ થયાની પણ માહિતી આપી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ હુમલો બીએનપી નેતા અખ્તર મેંગલ અને તેમના કાફલાને ટાર્ગેટ કરીને કરાયો હતો. પરંતુ તેમને કોઈ નુકસાન થયું નહોતું.
હુમલા પછી સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. BNP પ્રવક્તા સાજિદ તરીને જણાવ્યું હતું કે વિસ્ફોટમાં પાર્ટીના 13 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. આ બોમ્બ વિસ્ફોટ અખ્તર મેંગલની કાર નીકળી ગયાના થોડા સમય પછી થયો હતો.
