ફાઇલ ફોટો (Photo by STRINGER/AFP via Getty Images

ગત વર્ષે બોલીવૂડમાં અપમૃત્યુને કારણે સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલા સુશાંત સિંહ રાજપૂતના નામે હવે કેલિફોર્નિયાની યુનિવર્સિટીએ સ્કોલરશિપ જાહેર કરી છે. સ્વ. સુશાંત સિંહના ૩૫મા જન્મદિને તેની બહેન શ્વેતા સિંહ કિર્તીએ સોશયલ મીડિયા પર એક લાગણીસભર પોસ્ટ મુકી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં સુશાંતના નામે ૩૫ હજાર ડોલરની સ્કોલરશિપ આપવામાં આવશે. શ્વેતાના જણાવ્યા મુજબ તેના ભાઇનું આ એક સ્વપ્ન હતું જે હવે પૂર્ણ થઇ રહ્યું છે.

શ્વેતાએ સુશાંતની એક જુની પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, મને જાહેરાત કરતા ખુશી થાય છે કે, મારા ભાઇના ૩૫મા જન્મદિને તેના એક સ્વપ્નને પૂર્ણ કરવાનો પ્રયાસ થયો છે. યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેને ૩૫ હજાર ડોલરનું સુશાંત સિંહ રાજપૂત મેમોરિયલ ફંડ રાખ્યું છે. જે કોઇને યૂસી, બર્કલેમાંથી એસ્ટ્રોફિઝિક્સમાં અભ્યાસ કરવો હશે તે આ ભંડોળ મેળવવા માટે અરજી કરી શકશે.

5 એપ્રિલ ૨૦૧૯ના રોજ સુશાંતે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તે એક એવું વાતાવરણ બનાવાની ઇચ્છા રાખે છે, જ્યાં ભારતના બાળકો દેશમાં અથવા વિશ્વમાં ક્યાંય પણ મફત, સારા અને શિક્ષણ મેળવી શકે તેમ જ તેમને પોતાના પસંદગીના વિષયમાં અભ્યાસ માટે આર્થિક સહાય મળે.