ભારતમાં ખૂબ જ લોકપ્રિય બનેલા ટેલિવિઝન કોમેડી શો- ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિશે સમયાંતરે નવી નવી વાતો બહાર આવે છે. તાજેતરમાં એવી વાત બહાર આવી હતી કે ટપુની ભૂમિકા ભજવતો રાજ અનડકટ આ શો છોડી રહ્યો છે.

પ્રોડક્શન હાઉસ સાથેના મતભેદને કારણે હવે તે આ શોમાં કામ કરવા ઇચ્છતો નથી. રાજ 20 ડિસેમ્બર પછી શૂટિંગ પણ કરવાનો નહોતો. જોકે હવે એવું માનવામાં આવે છે કે રાજ શો નહીં છોડે. પ્રોડક્શન હાઉસના મતે રાજ કેટલીક બાબતોને કારણે નાખુશ હતો અને તેથી જ તે આ શો છોડવાનો હતો. પરંતુ તેની સમસ્યાઓનું સમાધાન થઇ જતા તેણે શો નહીં છોડવાનું મન બનાવ્યું હોવાનું કહેવાય છે.

અગાઉ આ શોમાં ટપુનો રોલ ભવ્ય ગાંધી નિભાવી રહ્યો હતો. તેને આ શો છોડવાનું મન બનવતા વર્ષ 2017માં ટપુ તરીકે રાજની એન્ટ્રી થઇ. તેની એક્ટિંગ પણ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. જોકે, આ મામલે રાજ અનડકટ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.મુનમુન દત્તા શો છોડવાની છે તેવી વાતો અગાઉ વહેતી થઇ હતી. મુનમુને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા એક વીડિયોમાં જાતિ આધારિત શબ્દ બોલીને વિવાદ ઊભો કર્યો હતો, પરંતુ તેણે શૂટિંગ ચાલુ રાખ્યું હતું. મુનમુન તથા રાજ વચ્ચેના અફેરની અફવા પણ ઉડી હતી.