ઓપરેશન સિંદુર બાદ ભારતનો પક્ષ રજૂ કરવા માટે યુકે આવેલા પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા ભારતના સાંસદ રવિ શંકર પ્રસાદે તા. 3 જૂનના રોજ ભારતીય હાઇ કમિશન ખાતે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ‘’ટેરરીઝમ પાકિસ્તાનની સ્ટેટ પોલીસી બની ગયું છે. અમે નિર્દોષ નાગરિકોને મરવા દઇ શકીએ નહિં. ભારતને પોતાની સુરક્ષા કરવાનો અધિકાર છે અને તે કરીને જ રહેશે. ઓપરેશન સિંદુર સ્થગીત કરાયું છે બંધ નહિં. ભારત કોઇ ન્યુક્લીયર હુમલાની ધમકીથી ગભરાતું નથી. વિશ્વએ ત્રાસવાદી હુમલાને વખોડી કાઢવો જોઇએ અને દરેક દેશે તથા આઇ.એમ.એફ. જેવી સંસ્થાઓએ પાકિસ્તાનના પૂછવું જોઇએ કે તેમને કરાતી અર્થિક મદદ ક્યાં જઇ રહી છે.’’
બીજી તરફ યુકે આતંકવાદ સામે લડવાના પ્રયાસોમાં ભારતની સાથે છે એમ ઇન્ડો-પેસિફિક મિનિસ્ટર કેથરિન વેસ્ટે લંડનમાં ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ ખાતે તા. 2ના રોજ યોજાયેલી બેઠકમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને જણાવ્યું હતું.
આ પ્રતિનિધિમંડળે મંગળવારે સવારે હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલને તથા તે પહેલા કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CFIN) અને લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (LFIN) ના સભ્યોને મળ્યું હતું. તો લંડનમાં ઇન્ડિયા હાઉસ ખાતે કેટલાક અગ્રણી થિંક ટેન્કના પ્રતિનિધિઓ સાથે પણ બંધ બારણે બેઠક યોજી હતી. તેમણે ક્નઝર્વેટીવ પક્ષના શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલ સાથે પણ મુલાકાત કરી હતી.
વિશ્વભરમાં મોકલવામાં આવેલા સાત પ્રતિનિધિ મંડળ પૈકીના યુકે અને યુરોપ આવેલા પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા ભારતના સાંસદ અને પૂર્વ કેબીનેટ મિનિસ્ટર રવિ શંકર પ્રસાદે પત્રકારોને સંબોધન કરતા કહ્યું હતું કે ‘’ભારત અને પાકિસ્તાનનો જન્મ એક જ દિવસે થયો હતો પરંતુ ભારત આજે વિશ્વની ચોથા નંબરની આર્થિક મહાસત્તા છે. ભારતે સ્પેસથી લઇને આધાર કાર્ડ, મેન્યુફેક્ચરીંગ, ડીજીટલ અને અન્ય ઘણાં ક્ષેત્રે પ્રગતિ કરી છે. બીજી તરફ પાકિસ્તાને માત્ર ત્રાસવાદને પ્રોત્સાહન અપ્યું છે. અમે પાકિસ્તાન સાથે ચાર યુધ્ધો લડ્યા છીએ અને એકમાં બાંગ્લાદેશનો જન્મ થયો છે. તેઓ એક પણ યુધ્ધ જીત્યા નથી. અમે એક પણ યુધ્ધની શરૂઆત કરી નથી.’’
તેમણે કહ્યું હતું કે ‘’ટેરરીઝમ પાકિસ્તાનની સ્ટેટ પોલીસી બની ગયું છે. 40,000 લોકો પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદમાં માર્યા ગયા છે. અમે પાકિસ્તાનના લોકોની વિરૂદ્ધ નથી પણ અમે નિર્દોષ નાગરિકોને મરવા દઇ શકીએ નહિં. ભારતને પણ પોતાની સુરક્ષા કરવાનો અધિકાર છે. જવાહરલાલ નહેરુની હોય કે છેલ્લે બાજપાઇ સરકાર હોય, અમારી બધી સરકારોએ તેમની સાથે દરેક મુદ્દા પર વાટાઘાટો કરી આતંકવાદી હુમલાના પૂરાવાઓ આપ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તો નવાઝ શરીફને પોતાના શપથગ્રહણ સમારોહમાં બોલાવ્યા હતા અને તેમના પૌત્રના લગ્નમાં પણ મોદી ગયા હતા. પરંતુ બદલામાં પાકિસ્તાને માત્ર ત્રાસવાદ જ ફેલાવ્યો છે. લંડનના ટ્યુબ બોમ્બીંગ હોય કે મુંબઇના 26/11ના આતંકવાદી હુમલા હોય. હંમેશા પાકિસ્તાનની સંડોવણી રહી છે. ઓસામા બીન લાદેન પણ પાકિસ્તાનમાંથી જ મળ્યો હતો. પત્રકાર ડેનિયલ પર્લની હત્યા કરનારો આતંકવાદી પણ ઓપરેશન સિંદુરમાં માર્યો ગયો હતો. પહેલગામમાં નવપરણિત યુગલને ખંડિત કરાયું હતું. તો લોકોનો ધર્મ પૂછીને નિર્દોષ ટૂરીસ્ટોની હત્યા કરવામાં આવી હતી.’’
પ્રસાદે કહ્યું હતું કે ‘’ઓપરેશન સિંદુર અંતર્ગત મધરાત્રે કરાયેલા 22 મિનિટના હુમલામાં માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા હતા. કોઇ નાગરિકોને નુકશાન ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી. જેના જવાબમાં કરાયેલા તેમના હવાઇ હુમલાઓને અમે નાકામ બનાવ્યા હતા. ભારતે કરેલા વળતા હુમલામાં તેમના નવ એરબેઝને નિશાન બનાવી વ્યાપક નુકશાન કરવામાં આવ્યું હતું. જેના જવાબમાં પાકિસ્તાની લશ્કરી અધિકારીએ કરેલી વિનંતીને પગલે સિઝફાયર કરાયું હતું. હું આભારી છું કે બ્રિટને હાઉસ ઓફ કોમન્સમાં ઠરાવ કરીને ત્રાસવાદી હુમલાને વખોડી કાઢ્યો છે. તુર્કી સિવાય કોઇ દેશે પાકિસ્તાનને મદદ કરી નથી. અરે ચાઇનાએ પણ ત્રાસવાદી હુમલાને વખોડી કાઢ્યો છે.’’
પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપતા શ્રી પ્રસાદે કહ્યું હતું કે ‘’અમે દરેક વખતે આતંકવાદી હુમલા અંગે પૂરાવા આપ્યા છે. આ હુમલાની જવાબદારી તો પાકિસ્તાન સ્થિત ટેરર ગૃપે લીધી હતી. સ્કાય ન્યુઝના પ્રોગ્રામમાં પાકિસ્તાની મિનિસ્ટરે પાકિસ્તાન ત્રાસવાદને પ્રોત્સાહન આપતું હોવાની કબુલાત કરી છે. તાજેતરમાં કરેલા હવાઇ હુમલામાં માર્યા ગયેલા ત્રાસવાદીના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ અને નેતાઓ જોવા મળ્યા છે. તેઓ મુંબઇ હુમલાના કાવતરાખોર હાફીઝ સઇદ સહિત યુએન દ્વારા પ્રતિબંધીત કરાયેલા કુલ 52 આતંકવાદીઓને આશરો આપી રહ્યા છે. પાકિસ્તાન યુધ્ધ જીતી શકતું ન હોવાથી આતંકવાદને પોષી રહ્યું છે અને આતંકવાદીઓ પાકિસ્તાની લશ્કર વતી પ્રોક્સી વોર લડી રહ્યા છે. પરંતુ પાકિસ્તાનને આ આતંકવાદની કિંમત ચૂકવવી પડશે. પ્રથમ અણુ હુમલો નહિં કરવાની ભારતની પોલીસી છે પણ જો પાકિસ્તાન અણુ હુમલો કરશે તો ભારત પણ વળતો હુમલો કરશે.’’
પ્રસાદના નેતૃત્વમાં યુકે આવેલા મંડળમાં સાંસદો પુરંદેશ્વરી, ચતુર્વેદી, ગુલામ અલી ખટાણા, અમર સિંહ, સમિક ભટ્ટાચાર્ય, એમ થંબીદુરાઈ ઉપરાંત ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી એમ.જે. અકબર અને રાજદૂત પંકજ સરનનો સમાવેશ થાય છે.
