(ANI Photo)
અમિતાભ બચ્ચન સંચાલિત લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ (KBC)નું ફરીથી ટીવી પડદે આગમન થઇ રહ્યું છે. આ એ એક એવો ક્વિઝ શો છે કે જે નાના બાળકોથી લઈને વૃદ્ધોને પણ ખૂબ જ પસંદ છે અને એનું સૌથી મોટું કારણ છે શોના હોસ્ટ અમિતાભ બચ્ચનની સંચાલન શૈલી. આ જ કારણ છે કે જ્યારે ગયા વર્ષે બિગ બીએ શો સમાપ્ત થઈ હોવાની જાહેરાત કરી ત્યારે તમામ દર્શકોની આંખો ભીની થઈ ગઈ હતી. પરંતુ હવે બિગ બી અને આ શોના ચાહકો માટે આનંદના સમાચાર આવ્યા છે કારણ કે ફરી એક વખત તેમને દેવીયોં ઔર સજ્જનો…ની ગૂંજ સાંભળવા મળશે.
ગત વર્ષે આવા જ શબ્દોથી અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિ-15ના મંચ પરથી અલવિદા કહેતા જણાવ્યું હતું કે, પોતાના લોકોને એ કહેવું ખૂબ જ અઘરું હોય છે કે આવતીકાલથી આપણે નહીં મળીએ. આવું કહેવાની ના તો હિંમત થાય છે કે ન તો મન. આ મંચ પરથી હું તમને છેલ્લી વખત કહેવા જઈ રહ્યો છું કે શુભરાત્રિ… શુભરાત્રિ… શુભરાત્રિ…એ સમયે બિગ બી અને દર્શકો પણ એકદમ ઈમોશનલ થઈ ગયા હતા.
પરંતુ ચૈત્રી નવરાત્રિના દિવસોમાં અમિતાભે પોતાના ચાહકો અને ટીવી શોના પ્રતિબદ્ધ દર્શકોને સારા સમાચાર આપ્યા છે. તેમણે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ સોની ટીવી પર કૌન બનેગા કરોડપતિની 16મી સિઝન શરૂ થવા જઈ રહી છે અને તેમણે શોનો પ્રોમો પણ શેર કર્યો છે. આ પ્રોમો જોઈને દર્શકો એકદમ ઉત્સાહિત થઈ ગયા છે. આબાલ-વૃદ્ધો સૌ કોઈને KBC ખૂબ જ પસંદ છે અને તેને દરેક જનરેશનનો ખૂબ જ પ્રેમ મળ્યો છે અને તેનું સૌથી મોટું કારણ છે ફક્ત અમિતાભ બચ્ચન.
અમિતાભ દ્વારા શેર કરવામાં આવેલા શોના પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે બિગ બીએ જ્યાંથી શોનો અંત કર્યો હતો ત્યાંથી જ એક ભારે અવાજ સાથે વાત શરૂ થાય છે. આ અવાજ તેમનો જ છે અને તેમાં તેઓ કહી રહ્યા છે કે, હર આરંભ કા અંત તય હૈ, પર અપનોં કે પ્યાર મેં જો આનંદ હૈ… ત્યાર બાદ હોટસીટ પર બેઠેલી સ્પર્ધક જણાવે છે કે, મમ્મી કહે છે કે આ મારો શો છે, બાળકો કહે છે કે આ અમારો શો છે… ચાર પેઢીઓને આ એક શોએ જોડી રાખ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ શો માટે રજિસ્ટ્રેશન 26 એપ્રિલથી શરૂ થશે.

LEAVE A REPLY

one × four =