યુનાઈટેડ નેશન્સના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરસે કહ્યું છે કે કોવિડ-19ની અત્યાર સુધીમાં કોઈ વેક્સીન નથી. એ સમજવાની જરૂરિયાત છે કે આપણે તેને ભેગા મળીને બનાવવી પડશે. તેમણે કહ્યું કે વેક્સીન બની જાય એટલું પુરતુ નથી. તેને દરેક વ્યક્તિ અને દરેક જગ્યાએ પહોંચાડવા માટે વૈશ્વિક એકતા બતાવવી પડશે.

ગુટેરસે ગત મહીને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે કોરોના મહામારીથી સર્જાયેલા સંકટના કારણે વિશ્વભરમાં મહામંદી આવવાની છે. વિશ્વમાં ભુખમરો અને દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. એવામાં એક જ ઉપાય છે કે તમામ દેશો મળીને આ સમસ્યાનું સમાધાન શોધે.

UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ ત્રિમૂર્તિએ પણ કોરોના મહામારી દરમિયાન પરસ્પરની જરૂરિયાતો પર ભાર આપ્યો છે. તેમણે કહ્યું કે આ સંકટ દરમિયાન ભારત વિશ્વના તમામ દેશોમાં શકય તેટલી તમામ મદદ પહોંચાડવાની કોશિશ કરી રહ્યું છે.

ભારત ટેકનિકલ અને આર્થિક સહયોગ કાર્યક્રમ અંતર્ગત જરૂરી દવાઓ, ટેસ્ટ કિટ અને પીપીઈ કિટ બીજા દેશો સુધીમાં પહોંચાડી રહ્યું છે. રેપિડ રિસ્પોન્સ ટીમ તૈનાત કરાઈ રહી છે અને માહિતીની આપ-લે માટે પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગત મહિને કહ્યું હતું કે કોરોના માટે 8 વેકસી પર કામ ચાલી રહ્યું છે. સંગઠનના પ્રમુખ ડો.ટેડ્રોસ ગ્રેબયેસસે જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી એવું વિચારવામાં આવી રહ્યું હતું કે વેક્સીન બનાવતા 1 વર્ષથી 18 મહિના લાગશે. જોકે હવે આ કામને ગતિ અપાઈ રહી છે. એક સપ્તાહ પહેલા વિશ્વના 40 દેશોના નેતાઓએ તેના માટે 8 અબજ ડોલર(લગભગ 48 હજાર કરોડ રૂપિયા)ની મદદ કરી છે, જોકે આ આર્થિક મદદ આ કામ માટે ઓછી પડશે.