પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતમાં ઓક્ટોબર સુધી કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના છે, જેથી વધુ સારી તૈયારીઓ કરવી જરૂરી છે. આ રોગચાળો ઓછામાં ઓછો એક વર્ષ માટે જાહેર આરોગ્ય માટે ખતરો બની રહેશે, એવી રોઇટર્સના મેડિકલ એક્સપર્ટ પોલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ સર્વેમાં વિશ્વના 40 આરોગ્ય નિષ્ણાતો, ડોકટરો, વૈજ્ઞાનિકો, વાઈરોલોજિસ્ટ્સ, રોગશાસ્ત્રીઓ અને પ્રોફેસરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની પાસેથી 3-17 જૂન દરમિયાન પ્રતિક્રિયાઓ લેવામાં આવી.

આ પોલમાં 85 ટકાથી વધુ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આગામી લહેર ઓક્ટોબર સુધીમાં આવશે. તેમાંથી ત્રણ નિષ્ણાતોએ ઓગસ્ટની શરૂઆત અને 12 નિષ્ણાતોએ સપ્ટેમ્બર સુધી આવશે તેવી આગાહી કરી છે. જો કે, 70 ટકાથી વધુ નિષ્ણાતોએ કહ્યું હતું કે, કોઈ પણ નવા પ્રકોપને હાલની સરખામણીએ વધુ સારી રીતે નિયંત્રિત કરવામાં આવશે. વર્તમાન લહેર ઘણી વધારે વિનાશક રહી છે. આ દરમિયાન રસી, દવાઓ, ઓક્સિજન અને હોસ્પિટલના બેડની તંગી હતી. તેમજ પહેલી લહેર કરતા વધુ લાંબી પણ ચાલી છે.

ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે, ‘નવી લહેર પર વધુ નિયંત્રણ રહેશે. તે આવે ત્યાં સુધીમાં ઘણા લોકોને રસી આપવામાં આવશે. બીજી લહેરથી પણ કેટલાક અંશે નેચરલ ઈમ્યુનિટી મળશે.’ ભારતમાં અત્યાર સુધી માત્ર 5 ટકા લોકોનું જ રસીકરણ થયું છે.

શું સંભવિત ત્રીજી લહેરમાં 18 વર્ષથી ઓછી વયના લોકોને જોખમ સૌથી વધુ હશે તેવા પ્રશ્નના જવાબમાં 66 ટકા નિષ્ણાતોએ હકારમાં જવાબ આપ્યો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ (NIMHANS)ના મહામારી વિજ્ઞાન વિભાગના વડા ડો. પ્રદીપ બનંદુરએ જણાવ્યું હતું કે આ વસ્તીને રસી મળી નથી, તેના પર કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં તેમના માટે કોઈ રસી ઉપલબ્ધ નથી.’