સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગરમાં “સ્ટેટ ઓફ ધી આર્ટ” સરદાર પટેલ ઝુલોજિકલ પાર્ક (જંગલ સફારી)નું નિર્માણ કરવામાં આવ્યુ છે. જંગલ સફારી એ માત્ર પ્રાણી-સંગ્રહાલય નથી પરંતુ આ પ્રકલ્પ માનવી અને પ્રકૃતિના સંબંધને પુન:સ્થાપિત કરવાનો મહત્વનો સેતુ છે, અહિંયા પ્રવાસીઓ વન્યજીવોને તેમના પ્રાકૃતિક નિવાસમાં નિહાળી શકે છે અને તેની સાથે તેમના જીવન,સ્વભાવ અને ઇકો-સિસ્ટમથી ઉંડાણપૂર્વકના જોડાણનો અનુભવ પણ થાય છે. ૨૨ જુનથી જંગલ સફારી ખાતે નવો રોમાંચક અને શૈક્ષણિક આયામ જોડાયો છે. વન્યજીવોમાં અત્યંત બુદ્ધિમાન અને સામાજિક પ્રાણી “ચિમ્પાંજી” સફારી પરીવારના મહત્વના સભ્ય બન્યા છે.આ “ચિમ્પાંજી” પ્રાકૃતિક રીતે આફ્રીકાના રેઇન ફોરેસ્ટના જંગલોમાં વસવાટ કરે છે જેથી જંગલ સફારી ખાતે ખાસ રેઇન ફોરેસ્ટ વાળા વાતાવરણનું પિંજરૂ તૈયાર કરવામાં આવ્યું છે. તા. ૨૨ જુને આંતરરાષ્ટ્રીય રેઇન ફોરેસ્ટ દિવસની ઉજવણી થઇ હતી. “ચિમ્પાંજી આફ્રિકાના રેઇન ફોરેસ્ટમાં વસવાટ કરે છે, જેથી રેઇન ફોરેસ્ટના સંરક્ષણના ધ્યેય સાથે આ દિવસથી જ પ્રવાસીઓ ૩ “ચિમ્પાંજી”ને નિહાળી શકાય છે. “ચિમ્પાંજી” સંયુકત આરબ અમીરાતના અબુધાબી સ્થિત કેપીટલ ઝૂ એન્ડ વાઇલ્ડલાઇફથી તા. ૨૩/૨/૨૦૨૫ના રોજ ભારતમાં લાવવામાં આવ્યા હતા, જેમાં ૧ નર અને ૨ માદાનો સમાવેશ થાય છે.તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને તા.૭/૪/૨૦૨૫ના રોજ એકતા નગર ખાતે લાવવામાં આવ્યા છે. સ્થાનિક વાતાવરણ સાથે અનુકુલન સાધે અને એનિમલ કીપર્સ સાથે સારા વર્તાવ માટે સૌપ્રથમ વિશેષ સુવિધા ધરાવતી જગ્યાએ રાખવામાં આવ્યા હતા, “ચિમ્પાંજી” માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલ વિશાળ પિંજરૂ તૈયાર કરવામાં આવેલ છે જેમાં આફ્રીકાના ઘનઘોર રેઇન ફોરેસ્ટનું વાતાવરણ તૈયાર કરવામાં આવેલ છે.સ્થાનિક વાતાવરણ અને એનિમલ કીપર સાથે અનુકુલન સાધ્યા બાદ આ ખાસ પિંજરામાં પ્રાયોગિક ધોરણે લઇ જવામાં આવી રહ્યા છે, અને સમગ્ર વિસ્તારને ત્રણે “ચિમ્પાંજી”એ અપનાવી લીધો છે.આ ખાસ પિંજરાના નિર્માણ વેળાએ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ કે જે, “ચિમ્પાંજી” તેમના જૈવિક,માનસિક અને સામાજિક આવશ્યકતાઓને અનુરૂપ છે.
