અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાનની ગોઝારી દુર્ઘટના પછી તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ અંગે ડાયરેક્ટર જનરલ ઓફ એવિયેશને (DGCA) દ્વારા એર ઈન્ડિયાને, દુર્ઘટનામાં સુરક્ષાના ગંભીર ઉલ્લંઘનને કારણે ત્રણ સીનિયર અધિકારીઓની તાત્કાલિક હકાલપટ્ટી કરવા જણાવાયું હતું. DGCA એ એર ઇન્ડિયા સામે કડક વલણ અપનાવીને ક્રૂ શેડ્યુલિંગ વિભાગના ત્રણ સીનિયર અધિકારીઓની તાત્કાલિક પદેથી હકાલપટ્ટી કરવાનો આદેશ આપ્યો હતો. ઉડ્ડયન સલામતી પ્રોટોકોલના ગંભીર ઉલ્લંઘન બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જે અધિકારીઓની હકાલપટ્ટી થઇ છે તેમાં ચૂરા સિંહ (ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ), પિંકી મિત્તલ (ચીફ મેનેજર-ક્રૂ શેડ્યુલિંગ) અને પાયલ અરોરા (ક્રૂ શેડ્યુલિંગ-પ્લાનિંગ)નો સમાવેશ થાય છે. DGCAએ સ્પષ્ટતા કરી હતી કે આ અધિકારીઓને ક્રૂ શેડ્યુલિંગની જવાબદારીમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે. આ અધિકારીઓની હકાલપટ્ટી માટે 10 દિવસનો સમય અપાયો છે અને આ સાથે 10 દિવસમાં રીપોર્ટ રજૂ કરવા જણાવાયું છે.
