આંધ્રપ્રદેશના સિકંદરાબાદમાં 17 જૂને પેસેન્જર ટ્રેનના એક કોચમાં આગ ચાંપવામાં આવી હતી. REUTERS/Stringer

ભારત સરકારની લશ્કરી દળોમાં સૈનિકોની ભરતીની નવી અગ્નિપથ યોજનાના વિરોધમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે હિંસક દેખાવો અને આગજનીની ઘટનાઓ ચાલુ કરી હતી. દેખાવકારોએ વિવિધ જગ્યાએ અત્યાર સુધી 10થી વધુ ટ્રેનોમાં આગ ચાપી દીધી હતી અને અનેક રેલવે સ્ટેશન પર તોડફોડ કરી હતી. બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન જેવા ઉત્તર ભારતના રાજ્યો બાદ શુક્રવારે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ હિંસા ફેલાઈ હતી. 10
તેલંગણાના સિકંદરાબાદમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 15 લોકો ઘાયલ થયા હતા. અગાઉ ગુરુવારે હરિયાણમાં એક યુવતીએ નવી યોજનાના વિરોધમાં આત્મહત્યા કરી હોવાના અહેવાલ હતા.

બિહારમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે. ત્રીજા દિવસે પણ અડધું બિહાર હિંસા અને આગજની ચાલુ રહી હતી. 12થી વધુ રેલવે સ્ટેશનો પર તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. સાત ટ્રેનને આગ ચાંપી દેવામાં આવી હતી. છાપરા, સમસ્તીપુર, લખીસરાય, સુપૌલ અને આરા વિરોધના હોટસ્પોટ બની ગયા છે. સમસ્તીપુર જિલ્લાનાં બે સ્ટેશન પર 1-1 ટ્રેન સળગાવી દેવામાં આવી હતી. ગુરુવારે પણ પાંચ ટ્રેનને સળગાવી દેવામાં આવી હતી.

બિહાર, એમપી, યુપી, હરિયાણા અને તેલંગાણા બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ અગ્નિપથ સામે વિરોધ પ્રદર્શન શરુ થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દેખાવકારોએ હાવડા બ્રિજને બ્લોક કરી દીધો હતો, તેમજ 24 પગરણા જિલ્લાના ભાટપુરામાં પણ આડશો મૂકીને રસ્તો બંધ કરી દીધો હતો. સિયાલદાહ-ઠાકુર નગર રેલવે સ્ટેશનમાં ઘૂસી ગયેલા દેખાવકારોએ ટ્રેક બ્લોક કરતાં ટ્રેનોનું સંચાલન ખોરવાયું હતું. સિલિગુડીના સિવોક રોડને પણ બંધ કરી દેવાતા ટુરિસ્ટ અટવાયા હતા. જ્યારે ગઈકાલે હિંસક દેખાવો થયા બાદ હરિયાણાના ગુરગાંવમાં કલમ 144 લાગુ કરીને ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. દિલ્હીમાં પણ વિદ્યાર્થી સંગઠનોએ દેખાવો શરુ કરતા ITO મેટ્રો સ્ટેશનના તમામ દરવાજા બંધ કરી દેવાયા હતા.

સરકારે મંગળવારે અગ્નિવીર યોજનાની જાહેરાત કરી હતી, જેમાં 17.5થી 21 વર્ષના યુવાનો લશ્કરમાં ચાર વર્ષ માટે ભરતી થઈ શકે તેવી જોગવાઈ હતી. જોકે, બે વર્ષથી ભરતી ના થઈ હોવાથી વયમર્યાદા વટાવી ગયેલા ઉમેદવારોએ તેનો હિંસક વિરોધ શરુ કર્યો હતો. જેના કારણે સરકારે ઉપલી વયમર્યાદામાં બે વર્ષની છૂટ આપવાનો નિર્ણય ગઈકાલે મોડી સાંજે જાહેર કર્યો હતો. એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, હવે 23 વર્ષ સુધીની વય ધરાવતા યુવા અગ્નિવીર બની શકશે. એરફોર્સમાં 24 જૂનથી અગ્નિપથ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરુ થઈ જશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.