અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે (2 એપ્રિલ, 2026) એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને કેટલીક પેટન્ટ દવાઓ પર 100 ટકા સુધીની ટેરિફ લાદી હતી. ફાર્મા કંપનીઓને અમેરિકામાં જ ઉત્પાદન શરૂ કરવાનું દબાણ કરવા ટ્રમ્પે આ મોટો નિર્ણય કર્યો હતો.
જોકે ટ્રમ્પના આ નિર્ણયથી ભારતની ફાર્મા નિકાસને કોઇ મોટી અસર થવાની ધારણા નથી. ભારતની અમેરિકામાં થતી ફાર્માસ્યુટિકલ નિકાસનો લગભગ 90% હિસ્સો જેનેરિક દવાઓનો છે, જે હાલમાં ટેરિફમાંથી મુક્ત છે. 2025માં ભારતે અમેરિકામાં $9.7 બિલિયનની ફાર્માસ્યુટિકલ્સની નિકાસ કરી હતી, જે ભારતની કુલ $25.8 બિલિયનની વૈશ્વિક ફાર્મા નિકાસના 38% થાય છે.
એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ આગામી મહિનાઓમાં તેમના વહીવટીતંત્ર સાથે સોદા નહીં કરનારી કંપનીઓની કેટલીક પેટન્ટ દવાઓ પર 100% સુધીના ટેરિફનો સામનો કરવો પડશે. ટ્રમ્પના આ નવા નિર્ણયમાં જેનરિક દવાઓને હાલ બાકાત રખાઈ છે.
વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યુ હતું કે યુએસના વાણિજ્ય વિભાગ દ્વારા જેનરિક દવાઓ સંદર્ભે ટેરિફનું મૂલ્યાંકન કરવામાં આવશે. જેનરિક દવા કંપનીઓ દ્વારા અમેરિકામાં ઉત્પાદન શરૂ ન થાય તો આગામી સમયમાં તેમના પર પણ 100 ટકા ટેરિફ લાગવાની શક્યતા સત્તાવાર સૂત્રોએ વ્યક્ત કરી હતી.
બાયોકોન લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ મિત્તલે કહ્યું હતું કે, આ પગલાથી નીતિમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. હાલના સમયે અસરો મર્યાદિત છે, પરંતુ અમેરિકાની રક્ષણાત્મક નીતિના સંકેત સ્પષ્ટ અપાયા છે અને ફાર્મા ઈન્ડસ્ટ્રી તેના પર નજર રાખી છે. બ્રાન્ડેડ કે સ્પેશિયાલિટી ડ્રગ બનાવતી અને પેટન્ટેડ દવાઓ માટે સામગ્રી મોકલતી ભારતની કંપનીઓને 100 ટેરિફથી મોટી અસર થવાનું નિશ્ચિત છે.
યુએસના વરિષ્ઠ અધિકારીઓનું માનવું છે કે, મોટી કંપનીઓને પોતાના પ્લાન્ટ યુએસમાં ખસેડવાની ખાતરી આપવા 120 દિવસનો સમય અપાયો છે, જ્યારે નાની કંપનીઓ માટે 180 દિવસનો સમય છે. અમેરિકા સાથે પ્લાન્ટ ખસેડવાના કરાર કરી લીધા હોય અને યુએસના ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ સાથે કિંમતોના કરાર કર્યા હોય તેવી કંપનીઓ પર વધારાની ટેરિફ લાગશે નહીં.












