REUTERS/Jamal Saidi/File Photo

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપ્રમુખ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું 73 વર્ષની વયે અવસાન થયું છે. શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાન 3 નવેમ્બર 2004થી સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ અને અબુ ધાબીના શાસક બન્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તબિયત ખરાબ હોવાના કારણે તેમની સારવાર ચાલી રહી હતી. રાષ્ટ્રપ્રમુખ કાર્યાલયે પુષ્ટિ કરી કે અબુ ધાબીના રાષ્ટ્રપ્રમુખ અને શાસકનું 13 મે શુક્રવારે નિધન થયું છે. UAE, આરબ અને ઇસ્લામિક રાષ્ટ્રો સહિત વિશ્વના ઘણા દેશોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ફોર્બ્સ અનુસાર શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનની કુલ સંપત્તિ $830 બિલિયન છે. આ રકમ પાકિસ્તાનના કુલ બજેટ કરતા 18 ગણી વધારે છે. પાકિસ્તાનનું વાર્ષિક બજેટ લગભગ 45 અબજ ડોલર છે. શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનની સંપત્તિમાં 97.8 બિલિયન બેરલ ક્રૂડ ઓઈલના ખાનગી ભંડારનો પણ સમાવેશ થાય છે.

શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનને તેમના પિતા શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહયાનના અવસાન બાદ UAEની કમાન સોંપવામાં આવી હતી. શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહયાન 1971માં UAEના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. 2 નવેમ્બર, 2004ના રોજ તેમનું અવસાન થયું. 1948માં જન્મેલા શેખ ખલીફા યુએઈના બીજા રાષ્ટ્રપ્રમુખ અને અબુ ધાબીના અમીરાતના 16મા શાસક હતા. તેઓ શેખ ઝાયેદના મોટા પુત્ર હતા.

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદથી શેખ ખલીફાએ દેશ અને અબુધાબીની સરકારમાં ઘણા મોટા સુધારા કર્યા છે. તેમના શાસનકાળ દરમિયાન સંયુક્ત આરબ અમીરાતમાં વિકાસની લહેર વેગવાન બની હતી. તેમની મંજૂરી બાદ યુએઈએ ઈસ્લામિક દેશોના કટ્ટર દુશ્મન ઈઝરાયલ સાથે મિત્રતા કરી હતી. તેમણે દેશમાં વિદેશી કામદારોના હિતમાં કાયદા બનાવવા અને દેશની વિદેશ નીતિ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું.