REUTERS/Valentyn Ogirenko

રશિયા -યુક્રેન યુદ્ધ વધુને વધુ ખતરનાક બનતું જાય છે. રશિયા અને યુક્રેનના પ્રતિનિમંડળ વચ્ચે સોમવારે મંત્રણામાં કોઇ સમજૂતી ન થયા બાદ યુક્રેનમાં રશિયાના હુમલા વધુ ભીષણ બન્યા હતા. યુક્રેન સરકારે દાવો કર્યો હતો કે ગુરુવારથી ચાલુ થયેલા રશિયાના હુમલામાં 14 બાળકો સહિત ઓછામાં ઓછા 352 લોકોના મોત થયા છે. યુક્રેનને એવો પણ દાવો કર્યો છે કે તેણે એવો પણ દાવો કર્યો કે રશિયાના 5000થી વધારે સૈનિકો માર્યા ગયા છે તથા ડઝનબંધ વિમાનો તોડી પાડવામાં આવ્યા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગનો છઠ્ઠો દિવસ છે. રશિયાએ અત્યાર સુધીનૌ સૌથી ઘાતક હુમલો કરીને પૂર્વ યુક્રેનમાં ખારકીવ પાસે એક મિલટરી બેઝને તબાહ કરી દીધું હતું. આ હુમલામાં યુક્રેનના 70 સૈનિકોના મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અત્યાર સુધીનો યુક્રેન પરનો સૌથી મોટો હુમલો છે.

અમેરિકાની એક સેટેલાઇટ તસવીરમાં દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેનની રાજધાની કીવના ઉત્તરમાં રશિયાની સેનાનો 64 કિમી લાંબો કાફલો આવી રહ્યો છે. આ કાફલો કિવ પહોંચતાની સાથે જ ભયંકર યુદ્ધ થવાની શક્યતા છે. આ કાફલામાં બખ્તરબંધ ગાડીઓ, ટેન્કો અને બીજા શસ્ત્રોની સાથે હજારો સૈનિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં એરફોર્સને પણ મેદાનમાં ઉતારવાની તૈયારી ચાલે છે. યુક્રેનની ઉત્તર સરહદથી માત્ર 20 માઈલના અંતરે બેલારૂસમાં ગ્રાઉન્ડ એટેક હેલિકોપ્ટર ગોઠવવામાં આવ્યા છે. કેટલાક વાહનો એકબીજાથી ઘણા દૂર ચાલી રહ્યા છે જ્યારે કેટલાક સૈન્ય વાહનો જૂથમાં આગળ વધી રહ્યા છે.

યુએનની સુરક્ષા સમિતિ (UNSC) આ યુદ્ધનો અંત લાવવા માટે પ્રયાસ કરી રહી છે. અમેરિકાએ રશિયાના 12 યુએન ડિપ્લોમેટને કાઢી મુકવાની જાહેરાત કરી હતી. આ અધિકારીઓ પર જાસૂસી કરવાનો આરોપ મુકાયો હતો. યુદ્ધ અને હિંસા અંગે ભારતે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને તાત્કાલિક શાંતિ સ્થાપવા માટે હાકલ કરી હતી. ભારતે કહ્યું કે પ્રામાણિક વાતચીત દ્વારા દરેક વિવાદનો અંત લાવી શકાય છે.