તેહરાન એરપોર્ટ પર બુધવારના રોજ એક પેસેન્જર વિમાન ક્રેશ થયું હતું જેમાં વિમાનમાં સવાર તમામ 176 લોકોના મોત નિપજ્યા હતા. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે વિમાનની સાથે મિસાઈલ અથડાઈ હતી અને તેની ગણતરીની સેકન્ડ્સમાં જ વિમાન ક્રેશ થઈ ગયું હતું. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને પણ આ દાવો કર્યો છે. ટ્રુડોએ કહ્યું કે તેમના ખાનગી સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે એવું લાગી રહ્યું છે કે વિમાન તેહરાનથી ટેકઓફ કર્યા બાદ વિમાન કોઈ સર્ફેસ-ટુ-એર મિસાઈલ સાથે અથડાયું હતું.

ટ્રુડોએ કહ્યું કે ‘બની શકે કે ઈરાને મિસાઈલ જાણી જોઈને વિમાન સાથે ન અથડાવી હોય. પરંતુ કેનેડિયન નાગરિકોના મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા છે જેના જવાબ આપવા જરૂરી છે. યુક્રેન એરલાઈનના દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં 176 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. જેમાંથી 63 કેનેડિયન નાગરિક હતા. આ ઉપરાંત 82 ઈરાનના, 11 યૂક્રેનના, 10 સ્વીડન અને ત્રણ જર્મનીના અને ત્રણ બ્રિટનના નાગરિકો પણ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા.’

બીજીતરફ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને પણ કહ્યું કે ‘યુક્રેન એરલાઈન્સનું વિમાન ઈરાનની એક સર્ફેસ-ટુ-એર મિસાઈલ સાથે અથડાવાથી ક્રેશ થઈ ગયું હતું અને આ વાત સાબિત કરવા માટેના ઘણા બધા પુરાવાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બની શકે કે મિસાઈલ જાણી જોઈને વિમાન પર છોડવામાં ના આવી હોય પરંતુ મિસાઈલ વિમાન સાથે અથડાઈ છે તે વાત એકદમ સાચી છે. બ્રિટન સતત તમામ પક્ષોને પશ્ચિમી એશિયામાં ચાલી રહેલા તણાવને દૂર કરવા માટેની અપીલ કરી રહ્યું છે.’

આ અગાઉ અમેરિકન મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારના રોજ ઉચ્ચ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં આશંકા વ્યક્ત કરી હતી કે યુક્રેનનું બોઈંગ-737 ઈરાની મિસાઈલ અથડાવવાથી ક્રેશ થયું છે. કેનેડા અને બ્રિટને આ દાવા પર ઈરાન પાસેથી પુરાવાઓ માંગ્યા છે. જ્યારે ઈરાન સરકારે વિમાન સાથે મિસાઈલ અથડાવવાની વાતને ખોટી ગણાવતા કેનેડા અને બ્રિટનના દાવાને ફગાવી દીધા છે.