વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર, 2મેના રોજ જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝને મળ્યા હતા. (ANI Photo)

યુરોપની ત્રણ દિવસની મુલાકાતના ભાગરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2મેએ બર્લિનમાં જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ યુદ્ધમાં કોઈપણ પક્ષનો વિજય થશે નહીં. આ ઉપરાંત રશિયાનું નામ લીધા વગર મોદીએ કહ્યું કે, યુક્રેન સંકટને કારણે ખોરાક અને તેલની કિંમતો આકાશને સ્પર્શી રહી છે.

મોદીએ કહ્યું હતું કે, મને ખુશી છે કે મારા 2022ના પ્રથમ વિદેશ પ્રવાસની શરૂઆત જર્મનીમાં થઈ રહી છે. અને કોઈ વિદેશી નેતાની સાથે મારી પ્રથમ ટેલિફોનિક વાતચીત મારા મિત્ર ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે થઈ છે. યુક્રેન સંકટના આરંભથી જ અમે તરત જ યુદ્ધવિરામનું આહવાન કર્યું હતું અને એ વાત પર જોર આપ્યું હતું કે, વિવાદના ઉકેલ માટે વાતચીત જ એકમાત્ર ઉપાય છે. અમારું માનવું છે કે, આ યુદ્ધમાં કોઈ વિજયી પાર્ટી નહીં હોય, તમામને નુકસાન થશે, એટલા માટે અમે શાંતિના પક્ષમાં છીએ. યુક્રેન સંઘર્ષથી ઉથલ-પાથલને કારણે તેલની કિંમતો આકાશને સ્પર્શી રહી છે, વિશ્વમાં અન્ન અને ફર્ટિલાઈઝરની પણ અછત થઈ રહી છે. તેનાથી વિશ્વના દરેક પરિવાર પર બોજ પડી રહ્યો છે, પણ વિકાસશીલ અને ગરીબ દેશો પર તેની અસર વધારે ગંભીર થઈ રહી છે.

જર્મનીના ચાન્સેલરે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન હત્યાઓ અટકાવવા માટે કહ્યું હતું અને યુક્રેનમાંથી સૈન્ય પરત ખેંચી લેવા માટે જણાવ્યું હતું. આ સાથે તેઓએ કહ્યું કે, રશિયાએ ઈન્ટરનશનલ કાયદાના મૂળભૂત નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ ઉપરાંત વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારત અને જર્મની વચ્ચે 10 બિલિયન યુરોની ગ્રીન ડેવલપમેન્ટ ડીલ થઈ છે. વર્ષ 2030 સુધી ક્લિન એનર્જી માટે જર્મની દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવશે.