અમેરિકાએ ભારતીય માલસામાન પર લાદેલો ૫૦ ટકા ટેરિફ તાત્કાલિક અસરથી ઘટાડીને ૧૮ ટકા કર્યો છે. આ નિર્ણયથી ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગને મોટો લાભ થશે, જે છેલ્લા છ મહિનાથી સંકટના વાદળોથી ઘેરાયો હતો.

અમેરિકા ભારતના હીરા-ઝવેરાત ઉદ્યોગનો સૌથી મોટુ બજાર છે. હીરા અને ઝવેરાતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ ૩૦ ટકા છે અને વાર્ષિક અંદાજે ૧૦ બિલિયન ડોલરની નિકાસ થાય છે. જેમાંથી ૭ થી ૮ બિલિયન ડોલર હીરાની નિકાસ હોય છે, પરંતુ ૨૦૨૫ માં અમેરિકાએ પહેલાં ૨૫ % અને પછી વધારાના ૨૫ %નો ટેરિફ લાદ્યો હતો. જેના કારણે કુલ ટેરિફ ૫૦ % થતા ગત એપ્રિલથી ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન અમેરિકામાં ભારતીય હીરા-ઝવેરાતની નિકાસ પાછલા વર્ષે ૬.૯૫ બિલિયન ડોલરની તુલનાએ ૪૪.૪ % ઘટીને માત્ર ૩.૮૬ બિલિયન ડોલર રહી ગઈ હતી. ગત ડિસેમ્બર ૨૦૨૫ માં આ નિકાસ ૫૦% થી વધુ ઘટી ગઈ હતી.
સુરતમાં ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે, વધુપડતા ટેરિફના કારણે સુરતના હીરાના પોલિશિંગ યુનિટ્સમાં લાખો કામદારો પર નોકરીનું સંકટ મંડરાઈ રહ્યું હતું. ઉદ્યોગને માર્જિન પર ભારે દબાણ આવ્યું હતું, કેશફ્લો અટવાઈ ગયો હતો. હવે ૧૮ % ના ટેરિફ થતા હીરાઉદ્યોગમાં નવી ઉર્જાનો સંચાર થશે. ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝના અહેવાલ અનુસાર આ ટેરિફ કટથી હીરાના નિકાસકારોને હવે વધુ સસ્તી કિંમતે માલ વેચવાની તક મળશે. જેથી નવા ઓર્ડર પાછા મેળવી શકાશે, જેનાથી મધ્યમ ગાળાના વિકાસ અને રોજગારીને મજબૂતી મળશે. અગાઉ યુરોપના ૨૭ દેશોના યુરોપિયન યુનિયન સાથે કરવામાં આવેલી ટ્રેડ ડીલ અને હવે અમેરિકાના ટેરિફ ઘટાડવાના નિર્ણયથી ડાયમંડ ઈન્ડસ્ટ્રી, જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને મોટું બજાર મળશે અને લાંબાગાળે મોટો આર્થિક ફાયદો થશે. આ રાહતથી માસ-માર્કેટ અને મિડ-પ્રાઈસ સેગ્મેન્ટમાં અમેરિકાના ખરીદદારો ફરીથી ભારતીય હીરા અને ઝવેરાત તરફ વળશે. લેબગ્રોન ડાયમંડ્સની વધતી હરીફાઈ વચ્ચે પણ નેચરલ ડાયમંડ્સની માંગ પણ પૂર્વવત થશે.

સુરતના હીરા બજારમાં ફરી રોનક આવશે એમ જણાવી તેમણે વધુમાં કહ્યું કે, ટેરિફકાપનો નિર્ણય ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં નવો અધ્યાય ખોલશે. આગામી મહિનાઓમાં ડાયમંડ નિકાસમાં ઝડપી વૃદ્ધિ થશે અને સુરત-મુંબઈના હીરા-ઝવેરાત હબ ફરીથી ધમધમી ઊઠશે. ભારતના હીરા-ઝવેરાત ઉદ્યોગ માટે આ એક નવી ઉર્જા આપશે. જેનાથી હીરાની નિકાસ વધવાની સાથે હીરા ઉદ્યોગનું ભવિષ્ય પણ સુરક્ષિત થયું છે.

LEAVE A REPLY