પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વડોદરા શહેર નજીક આવેલ મકરપુરા અને વરણામા રેલવે ટ્રેક વચ્ચે મંગળવારે સાંજે અલકાપુરી વિસ્તારમાં રહેતા અને પ્લાસ્ટીકની ‌ફેકટરી ધરાવતા પિતા તથા તેના પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકીને જીવનનો અંત આણ્યો હતો. ટ્રેનની જોરદાર ટક્કર વાગતાં બંનેનાં માથાં ધડથી અલગ થઈ ગયાં હતાં. બનાવ અંગે રેલવે પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પિતાપુત્રના ક્ષતવિક્ષત થયેલા મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો મુજબ પુત્ર માનસિક બીમારીથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ પિતા-પુત્રએ આર્થિક સંડળામળમાં જીવનનું અંતિમ પગલું ભર્યુ હતુ.

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણ પુરી સોસાયટીમાં દિલીપભાઈ વિમલભાઈ દલાલ (ઉં- 70), પૂત્ર રસેશભાઈ દિલીપભાઈ દલાલ (ઉં- 43) અને પત્ની સાથે રહેતા હતા. દિલીપભાઇ પ્લાસ્ટીકની ફેક્ટરીના માલિક હતા. મંગળવારે મોડી રાત્રે પિતા પુત્ર રીક્ષામાં બેસીને મકરપુરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ભાવનગર એક્સપ્રેસ નીચે બંનેએ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે રેલવે પોલીસને જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ દિલીપ ભાઈનો પુત્ર રસેશ માનસિક બીમારીથી પીડિત હતો. તેમજ પરિવારમાં તેઓ અને તેમની પત્ની જ હોવાનું બહાર આવ્યું હતું. તથા પ્રાથમિક અનુમાન મુજબ આર્થિક ભીંસમાં પિતા-પુત્રએ આ પગલું ભર્યાનું અનુમાન છે. પોલીસે આ ઘટનાની તપાસ ચાલુ કરી હતી.