new president of the Congress
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી (PTI Photo/Kamal Singh)

કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ સંદેશ આપતા પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે વ્યક્તિગત મહત્ત્વકાંક્ષા કરતાં સંગઠનની મજબૂતાઈ વધુ મહત્ત્વની છે. તેમણે સામુહિક અને વ્યક્તિગત બંને સફળતા માટે શિસ્ત અને એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આગામી વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવા માટેની પક્ષના નેતાઓની બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે રાજયના નેતાઓમાં પણ નીતિવિષયક મુદ્દા અંગે સ્પષ્ટતા અને એકજૂથતાનો અભાવ છે. મહત્ત્વના મુદ્દા પરના સંદેશ પાયાના કાર્યકારો સુધી પહોંચતા નથી, જે ચિંતાજનક છે.

કોંગ્રેસના પ્રદેશ એકમોમાં વધતા જતાં જૂથવાદ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં પક્ષના ભૂતપૂર્વ વડા રાહુલ ગાંધી તથા પક્ષના મહામંત્રીઓ, રાજયોના પ્રભારીઓ અને પ્રદેશ પ્રમુખો હાજર રહ્યાં હતા.

સોનિયાએ જણાવ્યું હતું કે ભાજપના દુષ્પ્રચારનો સામનો કરવા પક્ષ તેના કાર્યકરોને તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે અને આગામી ટ્રેનિંગ પ્રોગ્રામની રૂપરેખા તૈયાર કરશે. આપણી લોકશાહી, આપણા બંધારણ અને કોંગ્રેસ પાર્ટીની વિચારસરણીને સુરક્ષિત કરવાની લડાઇ દુષ્પ્રચારને ઓળખવાની અને તેનો સામનો કરવાની સંપૂર્ણ તૈયારી સાથે ચાલુ થાય છે. આપણે બીજેપી-આરએસએસના દ્રેષપૂર્ણ પ્રચાર સામે લડાઈ લડવી પડશે. જો આપણે આ લડાઈ જીતવી હશે તો તેમના જુઠ્ઠાણાને લોકો સમક્ષ ખુલ્લા પાડવા પડશે.

સોનિયા ગાંધીએ તેમના સંબોધનના પ્રારંભમાં જણાવ્યું હતું કે “હું શિસ્ત અને એકતાની સર્વોચ્ચ જરૂરિયાત પર ફરી ભાર મૂકવા માગું છું. આપણે તમામે પક્ષના સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન આપવાનું છે. આપણે વ્યક્તિગત મહત્ત્વકાંક્ષાથી ઉપર ઉઠવું પડશે. તેનાથી સામુહિક અને વ્યક્તિગત સફળતા મળશે.”

પક્ષના કાર્યકરો માટે તાલીમ પર ભાર મૂકતા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે ટ્રેનિંગ પક્ષની પ્રાથમિકતા હોવી જોઇએ. નવા સભ્યો કોઇ રાજકીય આંદોલનના પ્રાણ છે. દેશના યુવાનો તેમની અપેક્ષાઓને અવાજ આપવા માટચે આંદોલન કરવા માગે છે અને તેમને મંચ પૂરો પાડવાની કોંગ્રેસની ફરજ છે.