દોરાઈસ્વામી
હાલમાં યુકેમાં ભારતના હાઇ કમિશનર તરીકે સેવા આપી રહેલા વરિષ્ઠ રાજદ્વારી વિક્રમ દોરાઈસ્વામીની ચીનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્તિ કરાઈ છે, (ANI Photo/Shrikant Singh)

હાલમાં યુકેમાં ભારતના હાઇ કમિશનર તરીકે સેવા આપી રહેલા વરિષ્ઠ રાજદ્વારી વિક્રમ દોરાઈસ્વામીની ચીનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્તિ કરાઈ છે, તેવી ભારતના વિદેશ વિદેશ મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી હતી.
૧૯૯૨ બેચના ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી દોરાઇસ્વામી ટૂંક સમયમાં આ નવો કાર્યભાર સંભાળે તેવી અપેક્ષા છે. તેઓ પ્રદીપ કુમાર રાવતનું સ્થાન લેશે. રાવત માર્ચ ૨૦૨૨થી ચીનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે.

દોરાઇસ્વામી પાસે વ્યાપક રાજદ્વારી અનુભવ છે, જેમણે અગાઉ દક્ષિણ કોરિયા, ઉઝબેકિસ્તાન અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનમાં સેવા આપી હતી. તેમણે વડાપ્રધાન કાર્યાલયમાં પણ સેવા આપી છે અને વિદેશ મંત્રાલય (MEA)માં વરિષ્ઠ હોદ્દાઓ સંભાળ્યા છે.

ખાસ કરીને તેમની પાસે ચીન સંબંધિત બાબતોનો અનુભવ છે. તેમણે અગાઉ બેઇજિંગ અને હોંગકોંગમાં ભારતીય મિશનમાં સેવા આપી છે અને તેઓ ચાઇનીઝ સહિત અનેક ભાષાઓમાં નિપુણ હોવાનું જાણીતું છે.

/* */

2020માં ગલવાન ખીણમાં ભારત-ચીનના સૈનિકોની હિંસક અથડામણ પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે ત્યારે વિક્રમ દોરાઈસ્વામીને ચીનમાં નિયુક્તિ કરાઈ છે. તાજેતરના મહિનાઓમાં બંને દેશો સતત રાજદ્વારી સંપર્ક જાળવીને સંબંધોમાં સુધારો કરવાના સાવચેતીભર્યા પ્રયાસો કરી રહ્યાં છે. ભારત અને ચીન વચ્ચે તાજેતરમાં ફરી ડાયરેક્ટ ફ્લાઇટ્સ ચાલુ થઈ હતી અને બંને દેશોએ વિઝા નિયમો પણ સરળ બનાવ્યાં છે.

બંને દેશો વચ્ચેના આ જટિલ સંબંધોને નવો આકાર આપવામાં દોરાઈસ્વામી મહત્ત્વની ભૂમિકા ભજવે તેવી ધારણા છે. નિષ્ણાતો જણાવે છે કે તેમનો રાજદ્વારી અનુભવ તથા આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓની જાણકારી મહત્વપૂર્ણ સંપત્તિ બની શકે છે.