ભારતમાં આ વર્ષે ઘઉંનું ઉત્પાદન વિક્રમી સ્તરે પહોંચવાની સંભાવના છે. ફેબ્રુઆરીમાં તાપમાન થોડું વધુ રહ્યું હોવા છતાં ઘઉં માટે હવામાન અનુકૂળ રહ્યું હતું. જેથી ઘઉંનું ઉત્પાદન વધુ થયું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વ્હીટ એન્ડ બાર્લી રીસર્ચના ડાયરેક્ટર ડો. રતન તિવારીએ જણાવ્યું કે આ વખતે હવામાન અનુકૂળ રહ્યું અને મોટી આફત કે કરાં નથી પડ્યાં, જેથી ઘઉંમાં કોઈ મોટી બીમારી જોવા મળી નથી. એ સાથે જ ઉત્પાદકતા વધવામાં મદદ મળી છે. હવે જ્યારે પાક સારો થયો છે, ત્યારે આટા મિલમાલિકોએ સરકારને ઘઉંનાં ઉત્પાદનોની નિકાસ પર લાગેલા પ્રતિબંધ હટાવવાની માગણી કરી છે. રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ નવનીત ચિતલાંગિયાએ કહ્યું કે થોડાં અઠવાડિયાં પહેલાં સુધી અમારી સંસ્થાએ ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાની માગ કરી હતી, કારણ કે પાક અંગે ચિંતાઓ હતી, પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
તેમનું કહેવું છે કે સરકારી ગોડાઉનો ભરેલાં છે અને ખાનગી વેપારીઓ પાસે પણ પૂરતો સ્ટોક છે. આવી પરિસ્થિતિમાં સરકારને ઘઉંનાં ઉત્પાદનોના નિકાસને મંજૂરી આપવી જોઈએ. દેશમાં હવે ઘઉંની કાપણી અંતિમ તબક્કામાં છે. અમેરિકન એગ્રીકલ્ચર ડીપાર્ટમેન્ટ (USDA)ના અંદાજ મુજબ ભારતમાં ઘઉંનું ઉત્પાદન આ વર્ષે 117 મિલિયન ટન સુધી પહોંચી શકે છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ હશે. એનાથી દેશ પાસે સીઝનના અંતે છેલ્લાં ચાર વર્ષમાં સૌથી વધુ ઘઉંનો સ્ટોક રહેશે.
જો ભારતમાં ઘઉંનું ઉત્પાદન વધશે અને સરકાર નિકાસની મંજૂરી આપશે તો તેની અસર વિશ્વભરના ઘઉંના ભાવ પર પડી શકે છે. જોકે આ મહિને વૈશ્વિક ઘઉંના ભાવોમાં અંદાજે ત્રણ ટકા વધારો થયો છે. ભારતમાં પણ આ કારણે અન્નની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. માર્ચમાં કૃષિ મંત્રાલયના અંદાજ મુજબ આ વર્ષે ઉત્પાદન 115.43 મિલિયન ટન સુધી જઈ શકે છે. ત્યારે ઘણા નિષ્ણાતોને શંકા હતી કારણ કે ત્યારે હવામાન વારંવાર બદલાતું હતું.
