દુનિયાના અનેક દેશમાં ફેલાયેલા કોરોના વાયરસ વચ્ચે વિશ્વ બેંકે કોરોનાગ્રસ્ત દેશ માટે 12 અરબ ડોલરનું પેકેજ જાહેર કર્યુ છે. વિશ્વબેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસે જણાવ્યુ કે, કોરોના વિરૂદ્ધ લડવા માટે અસરગ્રસ્ત દેશને સહાય કરવામાં આવી છે. જે દેશ પાસે પુરા મેડિકલ સાધન નથી તેમને આ ફંડ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે, કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં 3 હજારથી વધારે લોકોના મોત થયા છે. જ્યાકે કે, 90 હજારથી વધારે લોકોને કોરોના વાયરસની અસર છે. ત્યારે કોરોના વાયરસને અટકાવવા માટે દુનિયાના દેશોમાં સતર્કતા રાખવામાં આવી રહી છે.

વિશ્વના અનેક દેશમાં કોરોના વાઇરસ હવે કાળ બનીને કેર વર્તાવી રહ્યો છે. કોરોના વાઇરસના કેરને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોનું સ્ક્રિનિંગ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્પાઇસ જેટે આગામી 29 માર્ચ સુધી અમદાવાદ-બેંગકોકને સાંકળતી ફ્લાઇટને કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-બેંગકોકને સાંકળતી સ્પાઇસ જેટની ફ્લાઇટ હવે 29 માર્ચ સુધી બંધ રહેશે. જે મુસાફરોએ અગાઉથી જ આ ફ્લાઇટ માટે બૂકિંગ કરાવી દીધું છે તેમને રીફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 29 માર્ચ બાદ ફ્લાઇટ જારી રાખવી કે કેમ તેનો નિર્ણય એ સમયની સ્થિતિને આધારે લેવામાં આવશે. બીજી તરફ અમદાવાદ-બેંગકોક વચ્ચેની અન્ય એક એરલાઇન્સ એરએશિયા પણ તેનું ઓપરેશન થોડા સમય માટે બંધ કરે તેની સંભાવના છે.