છેલ્લા 11 વર્ષથી વિશ્વભરમાં દર વર્ષે 21 જૂને યોગ દિવસની ઉજવમી કરવામાં આવે છે. યોગ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આરોગ્ય અને માનસિક તંદુરસ્તીનું પ્રતીક બની ગયું છે. આ દિવસની ઉજવણી સાથે કેટલીક રસપ્રદ બાબતો જોડાયેલી છે.
ભારતમાં નરેન્દ્ર મોદીએ 2014માં પ્રથમવાર વડાપ્રધાન પદ સંભાળ્યા પછી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં (UNGA)માં પ્રસ્તાવ મૂક્યો હતો કે યોગને વિશ્વવ્યાપી માન્યતા આપવી જોઈએ અને તેના માટે એક ખાસ દિવસ નક્કી કરવો જોઈએ. તેમનો પ્રસ્તાવ 177 દેશોના સમર્થનથી પસાર થયો અને 21 જૂનને ઇન્ટરનેશનલ યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો. યોગ દિવસનો પ્રસ્તાવ UNGAના ઇતિહાસમાં સૌથી ઝડપી પસાર થયેલા ઠરાવોમાં સ્થાન ધરાવે છે. તેને ફક્ત 3 મહિનામાં મંજૂરી આપવામાં આવી હતી અને 193 દેશોમાંથી 177 દેશોએ તેને સમર્થન આપ્યું હતું, જે એક વિક્રમ છે.
એટલું જ નહીં 21 જૂન પસંદ કરવા પાછળ એક ખાસ વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક કારણ પણ છે. 21 જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ (ગ્રીષ્મ સંક્રાંતિ) છે અને ભારતીય સંસ્કૃતિમાં તેને આધ્યાત્મિક પરિવર્તનની શરૂઆત માનવામાં આવે છે. આ સમય ઉત્તરાયણનું પણ પ્રતીક છે, જે યોગ અભ્યાસ માટે અત્યંત શુભ માનવામાં આવે છે.
યોગ એ ભારતની અતિ પ્રાચીન સંસ્કૃતિ-પ્રક્રિયા છે. યોગની શરૂઆત ભારતમાં 5000 વર્ષ પહેલાં થઈ હોવાનું માનવામાં આવે છે. સૌથી જૂના પુરાવા ઋગ્વેદ અને સિંધુ ખીણની સંસ્કૃતિની મૂર્તિઓમાં જોવા મળે છે, જેમાં ધ્યાનની મુદ્રામાં બેઠેલા વ્યક્તિની આકૃતિ છે. મહર્ષિ પતંજલિને યોગને એક સુઆયોજિત દર્શન તરીકે સ્થાપિત કરવાનો શ્રેય આપવામાં આવે છે. તેમણે ‘યોગસૂત્ર’ ની રચના કરી, જે અષ્ટાંગ યોગ (8 અંગો સાથેનો યોગ)નું વિગતવાર વર્ણન કરે છે. આજે પણ આ સૂત્રોને યોગ અભ્યાસનો મૂળભૂત પાયો માનવામાં આવે છે. આધુનિક મેડિકલ સાયન્સે પણ યોગના ફાયદાને સ્વીકાર્યા છે. વિવિધ સંશોધનો દર્શાવે છે કે, યોગથી માનસિક તણાવ ઘટેડે છે અને આરોગ્ય સુધરે છે.
