અમદાવાદમાં સોમવાર, 31મે 2021ના રોજ એએમટીસીના કર્મચારીને કોરોના વેક્સીન આપવામાં આવી હતી. (PTI Photo)

ગુજરાતમાં મંગળવારે કોરોના વાઇરસના નવા 1,561 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 73 દિવસમાં સૌથી ઓછા છે. રાજ્યમાં 22 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 9,855 થયો હતો. નવા કેસો સામે 4,869 દર્દીઓ કોરોનામુક્ત બન્યાં હતા. સતત 28મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે, તેનાથી રાજ્યનો કોરોના રિકવરી રેટ સુધરીને 95.21 ટકા થયો હતો.

સરકારે મંગળવારે સાંજે જારી કરેલી માહિતી મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 29,015 થઈ હતી, જેમાંથી નાજુક સ્થિતિના કારણે 472 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા, જ્યારે 28,543 દર્દીઓની હાલત સ્ટેબલ હતી. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 95.21% થયો હતો.