ચાલુ વર્ષે ઓછામાં ઓછા ૮,૦૦૦ ‘સુપર રિચ’ લોકો ભારતમાંથી બીજા દેશોમાં માઇગ્રેટ થાય તેવી શક્યતા છે. ભારતમાં આકરા ટેક્સ નિયમો અને રિપોર્ટિગની ઊંચી જરૂરિયાત તથા મજબૂત પાસપોર્ટ મેળવવાની ઇચ્છા આ માઇગ્રેશન માટેના મુખ્ય પ્રેરકબળો છે, એમ હેન્લી ગ્લોબલ  સિટિઝન્સ રિપોર્ટમાં જણાવાયું છે.

આ સંસ્થા વિશ્વભરમાં ધનાઢ્યોની સંપત્તિ અને રોકાણના સ્થળાંતર અંગેના ટ્રેન્ડ પર નજર રાખે છે. તેના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર ટેક્નોલોજી ક્ષેત્રના યુવા ઉદ્યોગ સાહસિકોમાં બિઝનેસ અને રોકાણની વૈશ્વિક તકોનો લાભ લેવા માટે દેશ બદલવાનું પ્રમાણ વધી રહ્યું છે. અહેવાલમાં રજૂ કરાયેલા અન્ય એક અભ્યાસ મુજબ ભારતમાં અમેરિકન ડોલરની રીતે લખપતિ અને અબજપતિઓની સંખ્યા આગામી ૧૦ વર્ષમાં ૮૦ ટકા વધશે. સમાન ગાળામાં અમેરિકામાં આ આંકડો માત્ર ૨૦ ટકા તેમજ ફ્રાન્સ, જર્મની, ઇટલી અને બ્રિટનમાં ૧૦ ટકા રહેવાનો અંદાજ છે. જોકે, અમેરિકન ડોલરની રીતે ભારતમાં લખપતિઓની ચોખ્ખી આવક અને જાવક (ભારતમાં આવનાર અને ભારત બહાર જનારા ‘સુપર રિચ’ વચ્ચેનો તફાવત) ના ૨૦૨૨ના તાજેતરના અંદાજમાં ચાલુ વર્ષે ભારતને લગભગ ૮,૦૦૦નું ચોખ્ખું નુકસાન થશે.

રીપોર્ટમાં જણાવાયું છે કે, ભારત માટે આ નુકસાન બહુ ચિંતાજનક નથી. કારણ કે દેશ દર વર્ષે સ્થળાંતરને કારણે જેટલા ધનાઢ્યો ગુમાવે છે તેની તુલનામાં ભારતમાં મોટી સંખ્યામાં નવા લખપતિઓ બને છે. ઉપરાંત, સમૃદ્ધ લોકો ભારત પરત ફરી રહ્યા હોવાનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં દેશના જીવન ધોરણમાં વધુ સુધારો નોંધાશે તો અમારા અંદાજ પ્રમાણે સંપત્તિવાન લોકો મોટી સંખ્યામાં દેશ પરત ફરશે.