(istockphoto.com)

ભારત સરકારે મંગળવારે લશ્કરી દળોમાં યુવાનોની ભરતી માટે નવી અગ્નિપથ નામની યોજનાની જાહેરાત કરી હતી, જે મુજબ સૈનિકોની ચાર વર્ષના સમયગાળા માટે ભરતી કરવામાં આવશે. તેનાથી સરકારના સેલરી અને પેન્શન બિલમાં ઘટાડો થશે અને શસ્ત્રોની તાકીદની ખરીદી માટે ભંડોળને છૂટું કરી શકાશે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ યોજનાની જાહેરાત કરતા તેને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. આ પ્રસંગે આર્મી, નેવી અને એરફોર્સના વડાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ અગ્નિપથ યોજના હેઠળ 17.5થી 21 વર્ષના આશરે 45,000 યુવાનોની ચાર વર્ષના સમયગાળા માટે લશ્કરી દળોમાં ભરતી કરશે. આ ભરતીની કવાચત આગામી 90 દિવસમાં ચાલુ થશે અને પ્રથમ બેચ જુલાઈ 2023 સુધી તૈયાર થશે.

લશ્કરી દળોમાં ભરતી માટે આ નવી વ્યવસ્થા છે. મંગળવારે સરકારે નવી ટુર ઓફ ડ્યૂટી સિસ્ટમની જાહેરાત કરી છે. જેને અગ્નિપથ નામ આપવામાં આવ્યું છે. નવી સિસ્ટમ હેઠળ ભરતી થનારા સૈનિકને અગ્નિવીર કહેવામાં આવશે. અગ્નિપથ સિસ્ટમ હેઠળ સૈનિકોની ભરતી 4 વર્ષ માટે રહેશે. 4 વર્ષ પૂરાં થયા બાદ તેઓને 10 લાખ રુપિયા ટેક્સ ફ્રી મળશે. અગ્નિવીરોને તેમની સેવા માટે સર્ટિફિકેટ્સ અને ડિપ્લોમા પણ આપવામાં આવશે. નવી વ્યવસ્થા દ્વારા ઓફિસર રેન્કથી નીચેના પદ પર આર્મી, નેવી અને એરફોર્સ દર વર્ષે 45,000થી 50,000 ભરતીઓ કરવાની યોજના છે. ભરતી થનારાઓને છ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે. બાકીના સાડા ત્રણ વર્ષ સર્વિસ કરવાની રહેશે. હાલ એક સૈનિક 17-20 વર્ષ સર્વિસ કરે છે.ચાર વર્ષનો પિરીયડ પૂરો થયા બાદ તેમાંથી 25 ટકા લોકોને સેનામાં એક મહિના બાદ ફરીથી સામેલ કરવામાં આવશે. નવી સ્કીમ હેઠળ શરૂઆતની સેલરી મહિને રૂ.30,000 હશે. જે ચાર વર્ષ પૂરાં થતા જ રૂ. 40,000 સુધી પહોંચી જશે.